Western Times News

Gujarati News

ભરૂચમાં રાજકીય ખેલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું

ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામોના વિકાસ માટે ૨૦૧૧ માં ખાતમુર્હત કરાયું હતું.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ ભાજપે કબ્જો જમાવતા અને કબીરવાડના હોડીધાટની હરાજી પણ તલ્લે ચઢતા કબીરવડ વિકાસ થી વંચિત.

ભરઉનાળે હજારો પ્રવાસીઓ થી ધમધમતું કબીરવડ હોડીઘાટ ની હરાજી વિના અને વિકાસથી વંચિત કબીરવડ પ્રવાસીઓ વિનાનું.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જિલ્લમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ,શુકલતીર્થ,મંગલેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામના વિકાસ માટે ૨૫ મે ૨૦૧૧ ના રોજ ૫૦ કરોડના ખર્ચે વિકસિત કરવા માટે ખાતમુર્હત વિધિ યોજાયા બાદ આજદિન સુધી પ્રવાસનધામ નો વિકાસ ન થતા કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું છે.૧૧ વર્ષ બાદ પણ વિકાસ થી વંચિત પ્રવાસન ધામ રાજકીય કાવાદાવા માં વિકાસ થી વંચિત રહ્યું હોવાના કારણે પૂર્વ પટ્ટી વિસ્તારના ગ્રામજનો હવે પ્રવાસનધામો ને વિકસિત કરવાની માંગ સાથે આંદોલનના મૂળ માં આવી રહ્યા છે.

ગત તારીખ ૨૫ મે ૨૦૧૧ ના રોજ કબીરવડ ના વિકાસ માટે કરોડો રૂપિયાની  હરાજી કરાઈ હતી.મેઘા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલોપમેન્ટ પ્રેયોજકટ હેઠળ કબીરવડ,અંગારેશ્વર અને શુકલતીર્થ ને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુર્હત વિધિ કરાઈ હતી.પરંતુ ખાતમુર્હત વિધિ બાદ આજદિન સુધી ત્રણેય પ્રવાસનધામો ૧૧ વર્ષ બાદ પણ વિકાસ થી વંચિત રહ્યા છે.

જેના પગલે પૂર્વ પટ્ટી ના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે ખાતમુર્હત વિધિ બાદ પણ વિકાસ થી વંચિત કબીરવડ આજે હોડીઘાટ પ્રવાસીઓ વિના સુનો પડયો છે.જેના પગલે કબીરવડ ને વિકસિત કરવાની માંગ સાથે અંગારેશ્વર ગામના મહેશ પરમારે ગામના વિકાસ માટે મુખ્યમંત્રીને પાત્ર લખ્યો છે અને હજુ ૧૦ દિવસ બાદ વડાપ્રધાન ને સંબોધિત પત્ર લખ્યા બાદ પૂર્વ પટ્ટી ના ત્રણ પ્રવાસન ધામ જેનું ૨૦૧૧ માં ખાતમુર્હત થયું છે.તેના વિકાસ માટે આંદોલન નું રણશિંગુ ફૂંકનાર છે.

કબીરવડ છેલ્લા ૧૧ વર્ષથી વિકાસ થી વંચિત કેમ રહ્યું છે?

અને વિકાસ માટે ફાળવેલા કરોડો રૂપિયા ક્યાં ગયા?

તે મુદ્દે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા એ કહ્યું હતું કે કબીરવડ સહિતના ત્રણ પ્રવાસનાધામના વિકાસ માટે જે તે સમયે અહેમદભાઈ પટેલે ૫૦ કરોડની ફાળવણી કરી હતી અને જેતે સમયે ખાતમુર્હત પણ કરાયું હતું અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને જનતાદળ યુ નું શાસન હતું ત્યારે ૨૦૧૮ માં કબીરવડમાં પ્રવાસીઓને આકર્ષી શકે તે માટે અને પ્રવાસીઓની રજા ની મઝા માં વધારો કરવાના ભાગરૂપે વિવિધ બોટ તથા વિવિધ પર્યટક તરીકે ની સુવિધા ઉભી કરવામાં આવી હતી અને હજારો પ્રવાસીઓ માટે કબીરવડ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.

પરંતુ જિલ્લા પંચાયતમાં ભાજપ નું શાસન આવતા કબીરવડ ની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડયા હોવાના કારણે કબીરવડ આજે વિકાસ થી વંચિત રહેવા સાથે પ્રવાસીઓ વિના સૂનું પડયું હોવાના આક્ષેપ કર્યા હતા.

તો કબીરવડના વિકાસ મુદ્દે જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા ઉપર હોય તે મુદ્દે ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં વર્ષોથી કોંગ્રેસ અને જનતાદળ યુ નું શાસન રહ્યું હતું અને કબીરવડ સહીત આજુબાજુના પ્રવાસનધામોને વિકસિત કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.

અને કબીરવાડના પ્રવાસનધામો ને વિકસિત કરવા માટે ભાજપ હરહમેંશા વિકાસને આગળ ધપાવવા માટે કાર્યરત છે અને છેલ્લા ૨ વર્ષ થી જ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન રહ્યું છે.

કબીરવડ ના વિકાસ માટે જિલ્લા પંચાયત આગામી દિવસમો કબીરવડ ને કેવી રીતે વિકસિત કરાઈ તે અંગેના પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.કબીરવડના મંદિરના મહંતે પણ કબીરવડ કયારે વિકસિત થશે તેની ખબર નથી પરંતુ મેં પોતે કબીરવડ એટલે કે નદી ની સામે પાળ કે જ્યાં કબીરવડનું મંદિર આવેલું છે.ત્યાં ગાદીપતિ નું સામાન્ય મંદિર બનાવવા માટે જેનો ખર્ચ માત્ર ૨૫ લાખ થાય છે.તેની સામે ત્રણ ઘણા રૂપિયા ખર્ચ્યા છે.

જેમાં જળમાર્ગે બોટ માં રેતી,કપચી અને ઈંટો લાવવાની મજૂરી જ માત્ર લાખો રૂપિયા ખર્ચ્યા છે.જે મંદિર બનાવવા માટે માત્ર ૨૫ લાખ થાય છે પરંતુ તેનું મટીરીયલ લાવવા અને મજૂરી જ ૫૦ લાખ રૂપિયા થઈ છે.જો જળમાર્ગે આર.સી.સી બ્રિજ બનાવવામાં આવે તો આ બ્રિજ મારફતે મટીરીયલ લાવવા સરળતા રહે તોજ કબીરવડ વિકાસ તરફ આગળ વધી શકે તેમ છે.

જો કે કબીરવડ વિકાસ થી વંચિત હોવાના કારણે ઉનાળાની શૈક્ષણિક વેકેશન થી ધમધમતું કબીરવડ આજે પ્રવાસીઓ વિના સૂનું પડયું છે અને સાથે કબીરવડના હોડીઘાટ ની હરાજી ન થઈ હોવાના કારણે બોટ મારફતે સામે પાળ પણ જઈ શકાતું નથી.

ત્યારે ગામના આગેવાને સરકાર ઉપર આક્ષેપ કરવા સાથે કબીરવડને વિકસિત નહિ કરવામાં આવે તો સંપૂર્ણ પૂર્વ પટ્ટી ના ગ્રામજનો ૨૦૧૧ માં જે તકતી સાથે ખાતમુર્હત કરાયું હતું તે તકતી સાથે કલેકટરના દ્વારે આંદોલન ના શ્રી ગણેશ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

એક સમયે દિવાળી કે ઉનાળાનું વેકેશન હોય કે પછી જાહેર રજાઓ હોય.રજા ની મઝા માણવા માટે પ્રવાસીઓ પરિવાર સાથે કબીરવડ તરફ દોટ મુકતા હોય છે.પરંતુ કબીરવડ વિકાસ થી વંચિત રહ્યું હોય જેના પગલે એક સમયે ઉનાળા ના વેકેશનમાં નાહવા ની મઝા અને રજાની મઝા માણવા આવતા પ્રવાસીઓ વિના આજે કબીરવડ સૂનું પડયું  છે.ત્યારે કબીરવડનો વિકાસ કયારે થશે?તે જોવું રહ્યું.

કબીરવડ ના ઘાટ થી કબીરવડ ના સામે પાળ જળમાર્ગે આર.સી.સી બ્રિજ બનાવવાની માંગ : કબીરવડ મહંત. 

શું પ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ને વિકસિત કરવું એટલે સોના કરતા ઘડામણ સમાન છે.કારણ કે કબીરવડના વિકાસ માટે મટીરીયલ જળમાર્ગે બોટ મારફતે લાવવું પડે જેમાં કબીરવડના ઘાટ ઉપર બોટમાં ઈંટો.રેતી અને કપચી સહિતની સામગ્રી બોટમાં મજુરો મારફતે મુકાવી બોટને જળમાર્ગે સામે પાળ લઈ જઈ બોટ માં રહેલી સામગ્રી સામે પાળ ઉતારી કબીરવડની કામગીરી માટે લઈ જવામાં મજૂરી વધુ થતી હોય છે.

જે મંદિર ૨૫ લાખ નું બાંધકામ થતું હોય છે.તે મંદિરની પાછળ ૭૫ લાખનો ખર્ચ થતો હોય છે.જેના કારણે સૌ પ્રથમ સરકાર દ્વારા જળમાર્ગે આર.સી.સી ઓવરબ્રિજ બનાવવા માં આવે તો જ કબીરવડની વિકાસ કરવો સરળ બનશે તેમ મંદિરના મહંતે જણાવ્યું હતું.

હોડીઘાટની હરાજી માટે કોન્ટ્રાકટર ન મળતા હોય તો જિલ્લા પંચાયતે ફલાય ઓવરબ્રિજ બનાવવો જોઈએ.

પૂર્વ પટ્ટી વિસ્તારના કબીરવડ વિકાસથી વંચિત રહેતા આજે કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડયું છે અને સાથે જ જિલ્લા પંચાયત સંચાલિત કબીરવડ ની હોડીઘાટનો ઈજારો છેલ્લા એક વર્ષ થી કોઈપણ એજન્સી ને અપાયો નથી.

જેના કારણે જિલ્લા પંચાયતની તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.ત્યારે જિલ્લા પંચાયત દ્વારા કબીરવડના પૂર્વ પટ્ટી થી સામે પાળ સુધી આર.સી.સી ઓવર બ્રિજ બનાવી દેવામાં આવે તો પ્રવાસીઓ માટે સરળ અને કબીરવડ પુનઃ એકવાર પ્રવાસીઓ થી ધમધમતું થાય તેમ છે.

 

નિકોરા થી સામેપાળ રહેતા પરિવારના બાળકો જળમાર્ગે મગરોના ભય વચ્ચે અભયાસ અર્થે બોટમાં કરી રહ્યા છે અવરજવર.ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નિકોરા ગામ ની સામે પણ નિકોરા નામનું ગામ આવેલું છે અને આ ગામમાં ૧૦૦૦ પરિવારો વસવાટ કરી ખેતી કામ કરી રહ્યા છે.પરંતુ આ પરિવાર ના બાળકો ને શિક્ષણ મેળવવું હોય તો બોટ માં બેસી જળમાર્ગે મગરોના ભય વચ્ચે સામે પાળ નિકોરાની શાળા એ આવવું પડે છે.જેના કારણે વિદ્યાર્થીઓની સવલત અને કબીરવડના પ્રવાસીઓ જળમાર્ગ ઉપરથી સરળતા થી અવરજવર કરી શકે તે માટે નિકોરા અને કબીરવડ વચ્ચે ફ્લાય ઓવરબ્રિજ જિલ્લા પંચાયત દ્વારા બનવવામાં આવે તો હજારો ગ્રામજનો અને પ્રવાસીઓને રાહત થઈ શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.