Western Times News

Gujarati News

લાકડાં ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર અથડાતાં આગ લાગી: 9નાં મોત

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ ટેન્કર સાથે અથડતાં આગ લાગી હતી. ટ્રકમાં લાકડાં હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ટ્રકમાં બેઠેલા 7 લોકો અને પેટ્રોલ ટેન્કરમાંના 2 લોકોનાં આગથી દાઝવાને પગલે ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.

ચંદ્રપુર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુધીર નંદનવારે જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તા પર અજયપુર ગામની પાસે ટ્રકનું ટાયર ફાટવાને કારણે એ અનિયંત્રિત થઈને સામેથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી અને એમાં આગ લાગી હતી. આ દુર્ઘટના પછી ટેન્કરમાંથી પેટ્રોલ ફેલાવવાને કારણે આસપાસનાં ઝાડ સળગી ગયાં છે.

આગ વહેલી સવારે ચાર વાગ્યે લાગી હતી અને એની પર નિયંત્રણ શુક્રવારે સવારે 11 વાગ્યે આવ્યું હતું. ચંદ્રપુરથી ફાયરબ્રિગેડની એક ડઝન ગાડીઓને આગ ઓલવવા માટે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ આગ પછી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.