Western Times News

Gujarati News

માતૃભાષા માટે શહીદી વહોરનારાઓને જાણો છો?

વિશ્વ માતૃભાષા દિવસ – 21 ફેબ્રુઆરી, 2023-અમૃત કાળમાં માતૃભાષાનું મૂલ્ય સમજીએ-નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાને મળ્યું છે મહત્ત્વ

સંકલનઃ દિવ્યેશ વ્યાસ

માનવીની ઉત્ક્રાંતિના અભ્યાસુઓના મતે ભાષાના ઉદભવ પછી જ માનવી અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો અને વધારે શક્તિશાળી બન્યો છે. દુનિયાનું દરેક બાળક પોતાની માતા પાસેથી જ સૌથી પહેલાં ભાષા શીખતું હોય છે. માતાના મુખેથી સાંભળેલી અને દુનિયામાં સૌથી પહેલા શીખેલી ભાષા એટલે માતૃભાષા અને કદાચ એટલે જ દરેક માનવીને માતા અને માતૃભૂમિ જેટલી જ વહાલી હોય છે માતૃભાષા.

માતૃભાષા માટે દૂધભાષા જેવો શબ્દ પણ સાહિત્યનાં વર્તુળોમાં બોલાતો હોય છે. આજનો આધુનિક માનવી ત્રણથી વધારે ભાષાઓનો જાણકાર હોય છે, પરંતુ દરેકને પોતાની માતૃભાષા સૌથી વધારે પ્યારી હોય છે. આજે 21મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થશે.

અનેક સંશોધનોના અંતે હવે પુરવાર થઈ ચૂક્યું છે કે માતૃભાષામાં જ જો શિક્ષણ આપવામાં આવે તો બાળકના દિમાગનો વિકાસ વધારે સહજ અને સારી રીતે થાય છે. માતૃભાષાના આ મૂલ્યને સમજીને જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં દરેક બાળક પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ માતૃભાષામાં જ કરે, એવો આગ્રહ રાખવામાં આવ્યો છે.

21મી ફેબ્રુઆરીએ જ માતૃભાષા દિવસની ઉજવણી શા માટે?

વિશ્વ માતૃભાષા દિવસ માટે  21મી ફેબ્રઆરી તારીખની જ પસંદગી શા માટે  કરવામાં આવી, તેની પાછળ એક લોહિયાળ કહાણી છે. માતૃભાષા માટે શહીદી વહોરવામાં આવી હતી, એવું તમે માની શકો ખરા? કોઈ સમાજ પોતાની માતૃભાષા માટે માર્ગ પર ઊતરીને આંદોલન કરે? માતૃભાષાને કારણે એક નવા દેશનું સર્જન થઈ શકે ખરા?

શું તમે ધારી શકો કે તરુણો-યુવાનો પોતાની ભાષા માટે મોતની પણ પરવા કર્યા વિના સામી છાતીએ બંદૂકોની ગોળીઓ ઝીલે? હા, આવું બન્યું હતું અને એક નવો ઇતિહાસ રચાયો હતો. આ ઘટના છે, પૂર્વ પાકિસ્તાનની, હાલના બાંગ્લાદેશની. બાંગ્લાદેશનું નામ જ તેની બંગાળી ભાષા – બાંગ્લા પરથી છે, કેમકે તેના સર્જનમાં માતૃભાષા અને પોતીકી સંસ્કૃતિ માટેનું આંદોલન અને લોહીયાળ શહાદતોની મોટી ભૂમિકા છે.

માતૃભાષા માટે મોતને વહાલું કર્યું

આપણે જાણીએ છીએ કે ઈ.સ. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. હાલનું બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો જ પ્રદેશ હતો, પરંતુ ત્યાંના લોકોની ભાષા અને સંસ્કૃતિ બંગાળી હતાં.

ધર્મના  આધારે રચાયેલા પાકિસ્તાનના વડાઓએ નક્કી કર્યું કે દેશનો વહીવટ ઉર્દુમાં જ ચાલશે, જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોની લાગણી હતી કે બંગાળી પણ રાષ્ટ્રની ભાષા બનવી જોઈએ. કટ્ટરતાના ઝેરથી સિંચાયેલી પાકિસ્તાની માનસિકતા ઉર્દુ ઉપરાંતની અન્ય કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કઈ રીતે સ્વીકારી શકે!

અનેક રજૂઆતો છતાં જ્યારે 27 જાન્યુઆરી, 1952ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાનના મુખ્યમંત્રી ખ્વાજા નજીમુદ્દીને ઢાંકામાં જાહેર કર્યું કે રાષ્ટ્રભાષા તો માત્ર ઉર્દુ જ રહેશે ત્યારે લોકોએ માતૃભાષા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો. ઢાંકા યુનિવર્સિટી અને અન્ય મહાવિદ્યાલયોમાં ‘રાષ્ટ્રભાષા બાંગ્લા ચાઇ’નો નારો બુલંદ બન્યો. 31 જાન્યુઆરીના રોજ મળેલી સામાજિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠકમાં નક્કી થયું કે બાંગ્લાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી સાથે 21 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવી.

સત્તાધીશોએ વિરોધ પ્રદર્શનો  અને સભા-સરઘસોને અટકાવવા માટે કલમ 144 લાગુ પાડી અને હથિયારબંધ સૈનિકો ખડકી દેવાયા છતાં ઢાકા યુનિવર્સિટી અને અન્ય કૉલેજોમાં વિદ્યાર્થીઓના ટોળા ઊમટી પડ્યાં. વિરોધ પ્રદર્શન અટકાવવા માટે યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી, ડઝનબંધ યુવાનો ઘાયલ થયા અને પાંચ યુવાનોએ માતૃભાષા માટે હસતાં મોંએ મોતને વહાલું કર્યું.

પોતાની ભાષા માટે આવો પ્રેમ, આવો સંઘર્ષ અને આવી શહીદીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે, એને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કોએ 17 નવેમ્બર, 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.