Western Times News

Gujarati News

બેંકોએ પેનલ્ટીના નામે ૫ વર્ષમાં ગ્રાહકો પાસેથી ૩૫,૬૦૦ કરોડ ખંખેર્યા

નવી દિલ્હી, ભારતમાં બેન્કો સર્વિસ ચાર્જિસ તરીકે દર વર્ષે તગડી કમાણી કરી છે જે સંસદમાં રજુ થયેલા આંકડા પરથી સાબિત થાય છે. રાજ્યસભામાં આજે રાજ્યકક્ષાના નાણામંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૮થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં બેન્કોએ ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા જુદા જુદા સર્વિસ ચાર્જ અને પેનલ્ટી તરીકે વસુલ્યા છે. તેમાંથી ૨૧,૦૪૪ કરોડ રૂપિયા તો મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે નોન-મેન્ટેનન્સ ચાર્જ તરીકે વસુલવામાં આવ્યા છે.

બેન્કોમાં તમે દરેક ક્વાર્ટરમાં મિનિમમ બેલેન્સ ન રાખો, એટીએમના વધારાના ટ્રાન્ઝેક્શન કરો અથવા એસએમએસ સર્વિસ મેળવો ત્યારે દરેક વખતે બેન્કોને તેમાં કમાણી થાય છે. મોટી સરકારી અને પ્રાઈવેટ બેન્કોએ પાંચ વર્ષના સમયગાળામાં ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા મેળવ્યા છે. તેમાં પણ મોટી કોમર્શિયલ બેન્કો આવા ચાર્જિસ વસુલવામાં સૌથી આગળ છે.

છેલ્લા પાંચ વર્ષની અંદર બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે જે પેનલ્ટી વસુલી તેની રકમ ૨૧,૦૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધારે છે તેમ સરકારે સંસદમાં જણાવ્યું છે. રાજ્યકક્ષાના નાણામંત્રી ભગત કરાડે એક પ્રશ્નના જવાબમાં આ જણાવ્યું હતું. બેન્કો દ્વારા વસુલવામાં આવતો ઉંચો સર્વિસ ચાર્જ એક મહત્ત્વનો મુદ્દો છે અને તે અંગે સરકાર સમક્ષ ઘણી ફરિયાદો પણ આવી છે.

આ ઉપરાંત સરકારી માલિકીની બેન્કો તથા એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક વગેરે પ્રાઈવેટ બેન્કોએ વધારાના એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ૮,૨૮૯.૩૨ કરોડની વસુલાત કરી હતી. આ ઉપરાંત એસએમએસ સર્વિસ પૂરી પાડવા માટે છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહકો પાસેથી ૬,૨૫૪ કરોડની વસુલી કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું કે બેન્કો દ્વારા વસુલવામાં આવતા સર્વિસ ચાર્જિસને રેગ્યુલેટ કરવા માટે આરબીઆઈ ૧ જુલાઈ ૨૦૧૫ના રોજ માસ્ટર સર્ક્‌યુલર લાવી હતી. તે પ્રમાણે બેન્કોને સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન જાળવતા ગ્રાહકો પાસેથી પેનલ્ટી નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ તે વાજબી હોવી જાેઈએ.

આ પેનલ્ટી સર્વિસ પૂરી પાડવાના એવરેજ કોસ્ટ જેટલી ન હોવી જાેઈએ. આ ઉપરાંત એસએમએસ મોકલવાના ચાર્જ પણ વાજબી રાખવા માટે આરબીઆઈએ બેન્કોને સલાહ આપી છે. આરબીઆઈના ૨૦૨૧ના પરિપત્ર પ્રમાણે બેન્કના ગ્રાહકો પોતાની બેન્કના એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

આ ઉપરાંત બીજી બેન્કોના એટીએમમાંથી પણ તેઓ ચોક્કસ સંખ્યામાં ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. મેટ્રો શહેરોમાં આવા ત્રણ ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રોમાં પાંચ ટ્રાન્ઝેક્શનની લિમિટ છે. ત્યાર પછી એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં આવે તો દરેક ટ્રાન્ઝેક્શન દીઠ વધુમાં વધુ ૨૧ રૂપિયા ઉપરાંત સર્વિસ ટેક્સ લાગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.