Western Times News

Gujarati News

‘આર્થિક ઉત્કર્ષ’ની યોજનાથી અંદાજે ૧.૪૧ લાખ આદિવાસી ભાઈ-બહેનોને લાભ મળ્યો

ચાલુ વર્ષમાં બજેટના કુલ પાંચમાંથી પ્રથમ સ્તંભમાં આદિજાતિ બંધુઓ માટે કુલ રૂ.૩,૪૧૦ કરોડમાંથી રૂ.૭૭૦ કરોડ આર્થિક ઉત્કર્ષની યોજનાઓ માટે ફળવાયા

‘વનબંધુ કલ્યાણ યોજના-૨’ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધી રૂ.૧ લાખ કરોડની અંદાજપત્રીય જાહેરાત

‘આર્થિક ઉત્કર્ષ’ની વિવિધ યોજનાઓના માધ્યમથી ગત વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપી વધુને વધુ આર્થિક પગભર બનાવવાની દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.

ભારતમાં કુલ આદિજાતિ વસ્તીની ૮.૧ ટકા વસ્તી ગુજરાતમાં છે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ૮૯ લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત સરકારે અલગથી વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ચાલુ વર્ષના ગુજરાત બજેટના કુલ પાંચ સ્તંભમાં આદિજાતિ વિકાસનો  પ્રથમ સ્તંભમાં જ ઉલ્લેખ કરીને આદિજાતિ વિભાગ માટે કુલ રૂ. ૩,૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે,

જેમાં રૂ. ૭૭૦.૧૯ કરોડની રકમ માત્ર આદિજાતિના આર્થિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે. આટલું જ નહીં આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-૨’ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ. ૧ લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વના પરિણામે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીનાં ૧૪ જિલ્લાના આદિવાસી શહેરો-ગામોમાં વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના સતત માર્ગદર્શનમાં પાણી, સિંચાઈ, વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધાઓથી સમગ્ર વિસ્તાર વિકાસની નવી ઊંચાઇ હાંસલ કરી રહ્યો છે.

આદિવાસીઓની પ્રવૃત્તિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતે ‘‘જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે. રાજ્યના આદિજાતિ ગામડાંઓની મુલાકાત લઈએ ત્યારે છેલ્લા બે દાયકામાં ૩૬૦ ડિગ્રીએ થયેલા વિકાસને અનુભવી શકાય છે.

ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસીઓના સર્વાંગીણ આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ ૧૩ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આદિજાતિ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશ સાથે કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૨૦૧૨-૧૩માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે.

જેમાં સહાયરૂપે વિવિધ પાક અનુસાર સરેરાશ રૂ. ૪,૫૦૦ જ્યારે વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ સુધીના કિંમતની ખાતર અને બિયારણની કીટ્સનું નજીવો રૂ. ૫૦૦નો ફાળો લઈને વિતરણ કરવામાં આવે છે. ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩’ અંતર્ગત ૧૪ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને આ યોજના હેઠળ પ્રથમવાર વિવિધ ‘જાડા ધાન્ય’નું બિયારણ આપી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાયા છે.

વેલાવાળા શાકભાજી માટેની મંડપ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૫-૧૬માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી/ આદિમજૂથ અને આદિજાતિ ખેડૂતને આપવામાં આવે છે.

જેમાં સહાયરૂપે વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા પ્રતિ લાભાર્થી રૂ. ૧૫,૨૮૮ની રકમ DBT મારફત આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત લક્ષ્યાંક મુજબ તમામ ૬,૨૦૭ લાભાર્થીને લાભ આપવામાં આવ્યો છે.

ફળાઉં ઝાડના રોપા વિતરણ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૯-૨૦માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બી.પી.એલ./ એફ.આર.એ.ના લાભાર્થી / આદિમજૂથ આદિજાતિ ખેડૂતને લાભ આપવામાં આવે છે.  જેમાં કલમી આંબાના રોપાઓ માટે રૂ. ૪,૦૫૦ થી રૂ. ૧૬,૨૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૦,૨૧૬ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે.

પાવર ટીલર માટે સહાય યોજનાની શરૂઆત વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં કરવામાં આવી હતી. યોજના હેઠળ સહાયરૂપે આદિજાતિ ખેડૂતોને ૮ બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૬૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોઈ તે અને ૮ બ્રેક હોર્સ પાવરથી ઉપરના પાવર ટીલર માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૮૫,૦૦૦/- બે માથી જે ઓછુ હોઈ તે આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૫૪૩ આદિજાતિ ખેડૂતોએ લાભ લીધો છે.

સંકલિત ડેરી વિકાસ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૭-૦૮માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત યોજના હેઠળ બી.પી.એલ./એફ.આર.એ.ના લાભાર્થી/આદિમજૂથ અને આદિજાતિ મહિલાઓને લાભ આપવામાં આવે છે. જેની હાલની યુનિટ કોષ્ટ રૂ.૭૦,૦૦૦/- છે જેમાં એક (૧) દુધાળુ પશુ તથા સાધન સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૦,૯૪૪ મહિલા લાભાર્થીને લાભ આપવામાં આવ્યો છે.

વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રની શરૂઆત વર્ષ-૨૦૦૮માં કરવામાં આવી હતી. જેમાં આદિજાતિ યુવક/યુવતીઓને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી આવક બમણી કરવાના નિર્ધાર સાથે તાલીમ કેન્દ્રો કાર્યાન્વિત છે. આ કેન્દ્રોમાં પીપીપી પાર્ટનર માન્ય સંસ્થાઓ સહભાગી રહે છે. જેમાં ઓટો મોબાઈલ સેક્ટર, પ્લાસ્ટિક ઈજનેરી, કેમિકલ સેક્ટર, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ, ટેક્ષટાઈલ, આઈ.ટી./બી.પી.ઓ. સેક્ટરમાં ૧ માસથી ૨ વર્ષના કોર્સની તાલીમ આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત ૭૫ ટકા સરકાર તથા ૨૫ ટકા પાર્ટનર સંસ્થાની ભાગીદારી સાથે કેપિટલ ખર્ચ કરવામાં આવે છે, સરકાર દ્વારા ૧૦૦ ટકા રીકરીંગ ખર્ચ કરવામાં આવે છે, આ રીકરીંગ ખર્ચ ૭૫ ટકા તાલીમાર્થીને પ્લેસમેન્ટ મળ્યા બાદ જ ચૂકવવામાં આવે છે.

માનવ ગરીમા યોજનાની શરૂઆત વર્ષ-૧૯૯૮માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ નિયત માપંદડ મુજબ લાયકાત ધરાવતા ગ્રામીણ-શહેરી વિસ્તારના આદિજાતિ નાગરિકોને આપવામાં છે. જેમાં સહાયરૂપે રૂ. ૩,૦૦૦ થી રૂ.૪૮,૦૦૦ સુધીની કીટ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૩૩,૫૪૧ નાગરિકોને લાભ આપીને આર્થિક પગભર બનાવ્યા છે.

કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૦-૦૧માં કરવામાં આવી હતી. યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિના અરજદારે હાયર સેકન્ડરી (૧૦+૨) અથવા ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. જેમાં સહાયરૂપે મહત્તમ રૂ.૨૫ લાખની મર્યાદામાં માત્ર ૪ ટકાના નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે.

સ્વરોજગારીની ધિરાણ યોજનાની શરૂઆત વર્ષ-૧૯૯૭માં કરવામાં આવી હતી. સ્વરોજગારી યોજના હેઠળ જુદા જુદા ૮૫ વ્યવસાય માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની ઉંમર ૧૮ થી ૫૫ વર્ષ સુધી તેમજ વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધુ ન હોવી જોઈએ. જેમાં રૂ. ૫ લાખની મર્યાદામાં વાર્ષિક ૪ ટકાના નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૨૨૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.

મહિલાઓને આર્થિક ઉપાર્જન માટેની નાહરી કેન્દ્ર યોજનાની શરૂઆત વર્ષ-૨૦૧૬માં કરવામાં આવી હતી. આ યોજનામાં ૧૧ મહિલાઓના જૂથનું સખી મંડળ તરીકે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. આ યોજનામાં રૂ. ૫ લાખની મર્યાદામાં વાર્ષિક ૪ ટકાના વ્યાજના દરે લોન તેમજ રૂ. ૫ લાખની સહાય એમ મળીને કુલ રૂ. ૧૦ લાખ મળવા પાત્ર છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૬ સખીમંડળોએ તેનો લાભ લીધો છે.

વકીલાત માટે સ્ટાઈપેન્ડ યોજનાની શરૂઆત વર્ષ-૧૯૮૭માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાયકાત માટે સિનિયર વકીલ ઓછામાં ઓછા ૭ વર્ષ પ્રેક્ટીસનો અનુભવ, જુનિયર વકીલે સિનિયર વકીલના માર્ગદર્શનમાં પ્રેકટીસ કર્યા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

જેમાં સહાય રૂપે જુનિયર વકીલને ત્રણ વર્ષનું રૂ. ૨૮,૮૦૦ સ્ટાઇપેન્ડ. પ્રથમ વર્ષે માસિક રૂ. ૧૦૦૦, બીજા વર્ષે માસિક રૂ. ૮૦૦ અને ત્રીજા વર્ષે માસિક રૂ. ૬૦૦ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સિનિયર વકીલને પણ ત્રણ વર્ષ સુધી માસિક રૂ. ૫૦૦ લેખે કુલ રૂ. ૧૮,૦૦૦ એલાઉન્સ મળવાપાત્ર થાય છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજનાનો ૪૦ આદિજાતિ વકીલોએ લાભ લીધો છે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જી.પી.એસ.સી. કોંચિંગ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૯-૨૦માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળની લાયકાતમાં સ્નાતક થયેલ આદિજાતિ યુવક-યુવતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહાયના ધોરણ મુજબ વર્ગ-૧ અને ૨ની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી રૂ. ૨૦,૦૦૦ની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૨,૫૦૦ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કોચિંગ લીધુ છે.

ચેકડેમ અને ઉદવહન સિંચાઈ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૫-૧૬માં કરવામાં આવી હતી. કોઈ પણ આદિજાતિ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. સહાયના ધોરણ અનુસાર આદિજાતિ ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત ૧૬ ખેડૂતોએ લાભ લીધો છે.

વર્ષ ૨૦૦૩માં આદિવાસી બાંધવોના વિકાસ માટે માત્ર રૂ. ૨૦૮ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવતી હતી જ્યારે હાલમાં એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં આ રકમ વધારીને રૂ. ૩,૪૧૦ કરોડ કરવામાં આવી છે. જે આદિજાતિઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિત સર્વાંગી વિકાસની પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.