Western Times News

Gujarati News

‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ થયેલું અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન

અમદાવાદના પૂર્વ વિસ્તારની ડમ્પિંગ સાઇટ સ્વચ્છતા થકી લીલાછમ જડેશ્વર વનમાં ફેરવાઇ- ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા-૪.૫ કીમી લાંબો વોકિંગ ટ્રેઇલ

ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. સ્વચ્છતા હી સેવાનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના વન વિભાગે જડેશ્વર વન તૈયાર કરીને પૂરું પાડ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની ડમ્પિંગ સાઇટ સ્વચ્છાગ્રહ થકી લીલાછમ જડેશ્વર વનમાં ફેરવાઇ ગઇ છે.

એક સમયે અમદાવાદમાં જ્યાં કચરો નખતો હતો એ જગ્યાએ આજે હર્યુભર્યુ વન તૈયાર થઇ ગયું છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે.

ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ ૮.૫ હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો,

જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરવામાં આવ્યું. આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ બન્યુ છે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું ત્યારથી લઇને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં અંદાજિત ૮ લાખથી વધુ વિઝટર્સે મુલાકાત લીધી છે.

આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તાર માટે ફેફસા જેવું કાર્ય કરે છે. સાથો-સાથ આટલી મોટી માત્રામાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીની જમીનમાં ઉતરવાની પ્રક્રિયાને વેગ મળશે.

આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ ૨૨ બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે ૪.૫ કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિ્ર્માણ પણ કરાયું છે.

ખાસ વિશેષતાઓ : ૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા : આ સાંસ્કૃતિક વનમાં આશરે ૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર ૧૦૦ મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

કમળકુંડ આકર્ષણનું કેન્દ્ર : આ જડેશ્વર વનમાં એક કમળકુંડ બનાવવામાં આવ્યું છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કમળકુંડ કમળના ફૂલોથી સુશોભિત રહે છે, તેના ઉપર કમાન આકારના એક ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં બેઠક વ્યવસ્થા માટે બે વનકુટીર બનાવવામાં આવી છે. લોકો વર્ષા વનનો અનુભવ માણી શકે તે માટે એક મીસ્ટ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે.

પ્રવેશ દ્વાર પર બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે : જડેશ્વર વનના મુખ્ય પ્રવેશદ્વારની સામે એક તથા કમળકુંડ પાસે એક એમ કુલ બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જેના માધ્મયથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજાજનો સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે.

વિઝટર્સ માટે એક્ટિવિટી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર : આ વનમાં બનાવવામાં આવેલ એક્ટિવિટી એરિયા આ વિસ્તારના પ્રજાજનોને વિવિધ રચનાત્મક પ્રવૃતિ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. વન વિભાગના જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ અહિં કરવામાં આવે છે. મેડિટેશન કેન્દ્રમાં થતા યોગને ધ્યાનના કાર્યક્રમો થકી લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.

અન્ય સુવિધાઓ :  આ વનમાં આવતા વિઝટર્સ માટે અન્ય સુવિધાઓ જેમ કે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સામાન્ય ટોઇલેટ્સ વગરે અહીં ઊભા કરવામાં આવ્યા છે. (અહેવાલ – ગોપાલ મહેતા, માહિતી કચેરી, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.