Western Times News

Gujarati News

જ્ઞાનવાપીઃ મુસ્લિમ પક્ષની તમામ અરજી હાઈકોર્ટે ફગાવી

હાઈકોર્ટે ૧૯૯૧ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી

(એજન્સી)અલ્હાબાદ, જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે ૧૯૯૧ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે.

આજે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચેના માલિકી વિવાદ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન મસ્જિદ કમિટિ દ્વારા કરવામાં આવેલી પાંચેય અરજીને ફગાવી દીધી હતી અને ૧૯૯૧ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને ૬ મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

આ અગાઉ હાઈકોર્ટે ૮મી ડિસેમ્બરે તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ મામલો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ ૧૯૯૧ના દાયરાની બહાર છે, એવામાં આ કેસની સુનાવણી નીચલી કોર્ટમાં જ થઈ શકે છે. આ નિર્ણયથી જ્ઞાનવાપી પરીસરમાં કરાયેલા સરવે પર પણ અસર થઈ શકે છે.

હિન્દું પક્ષનું કહેવું છે કે હાલમાં જ થયેલા સરવેમાં વજુખાના સહિત બાકી રહેલો જે એરિયા રહી ગયો છે તેમનો પણ સરવે કરી શકાય છે અને આ ઉપરાંત ખોદકામની પણ પરવાનગી આપી શકાય છે. મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ ૧૯૯૧ હેઠળ આ મામલેમાં સુનાવણી કરવામાં આવી શકે નહીં, જો કે હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં આ નિયમ લાગુ પડતો નથી.

આ કાયદાને વર્ષ ૧૯૯૧માં તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના કાર્યકાળમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાના કોઈપણ ધર્મના પૂજા સ્થળને કોઈ બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં. આ એક્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ આવું કરે છે તો તેને જેલમાં મોકલી શકાય છે. કાયદા મુજબ ધાર્મિક સ્થળો આઝાદી સમયમાં જેવા હતા તેવા જ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આ એક્ટને પડકારતી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં આ કાયદાની માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.