Western Times News

Gujarati News

સી.આર. પાટીલની સામે ચૂંટણી લડનાર દ.ગુજરાત કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા

કોંગ્રેસના ધારાસભ્ય અને અગ્રણી અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેર અને દક્ષિણ ગુજરાતના આગેવાન ધર્મેશ પટેલે પક્ષમાંથી રાજીનામું ધરી દેતાં ભારે ખળભળાટ

 મોઢવાડિયા સહિત ત્રણ આગેવાનોએ કોંગ્રેસને રામ રામ કહ્યા-રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કોંગી અગ્રણીએ કરેલો વિરોધ ભારે પડ્યો

ગાંધીનગર, હિન્દુઓના આસ્થા સમાન અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ વિરોધ કરતાં દેશભરમાં તેની આકરી ટીકા થઈ હતી. કોંગ્રેસના કાર્યકરો અને પ્રદેશ નેતાઓમાં પણ આ મુદ્દે ભારે અસંતોષ ફેલાયો હતો. તેના પડઘા હજુ પડી રહ્યા છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પ્રવેશવાની છે ત્યારે કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. Setback for Congress in Gujarat as senior leaders Ambrish Der, Arjun Modhwadia and South Gujarat Congress leader Dharmesh Patel resigned.

સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય અને અગ્રણી અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેર અને દક્ષિણ ગુજરાતના આગેવાન ધર્મેશ પટેલે પક્ષમાંથી રાજીનામું ધરી દેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આગામી સમયમાં વધુ કેટલાક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ ત્રણેય નેતાઓ પણ ટૂંક સમયમાં જ કેસરિયો ધારણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૪ થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ ૨૦૨૨માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની શકે છે. ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પણ ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે. એવું કહેવાય છે કે, અર્જુન મોઢવાડિયા કે.સી. વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજ હતા.

એટલું જ નહીં, વિપક્ષના નેતાની પસંદગી વખતે પણ કોંગ્રેસ હાઈ કમાન્ડે તેમને વિશ્વાસમાં લીધા ન હતા. કદાચ આ કારણસર જ તેઓ વિધાનસભા ચૂંટણી પછી પક્ષમાં સક્રિય ન હતા. આ ઉપરાંત રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ હાઈ કમાન્ડે લીધેલા નિર્ણયો સામે પણ તેઓ નારાજ હતા. ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવાના નિર્ણય સાથે પણ તેઓ સંમત ન હતા.

લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. હવે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ‘પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અંબરીશ ડેરને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે.’ જો કે એ પહેલા અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અંબરીશ ડેરે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને કહ્યું હતું કે, ‘હું હોદ્દા માટે કોઈ પક્ષમાં નથી જોડાઈ રહ્યો. ખાસ કરીને મને કોંગ્રેસના રામ મંદિર અંગેના વલણથી દુઃખ છે. મેં ભાજપમાં જોડાવા માટે કોઈ ડીલ નથી કરી.’ સૂત્રોના જણાવ્યાનુસાર, અંબરીશ ડેર તેમના કાર્યકરો સાથે પાંચમી માર્ચે, મંગળવારે બપોરે ૧૨ વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. આ દરમિયાન રાજુલા અને જાફરાબાદમાં પણ ભાજપમાં જોડાવાના કાર્યક્રમો યોજાશે.

અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘હું કોંગ્રેસ પક્ષના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત મેળવીને લોકોની સેવા કરી છે. મને સહયોગ આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. મહેરબાની કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરશો.’

અહેવાલો અનુસાર, ચોથી માર્ચે અમદાવાદમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહિર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, અમરીશ ડેર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.

તેઓ વર્ષ ૨૦૧૭માં રાજુલા બેઠક પર હીરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હીરા સોલંકી સામે જ પરાજય થયો
હતો. દ. ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતા ગણાતા ધર્મેશ પટેલ ગત લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સામે ચૂંટણી લડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.