કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર ૫ાંચ હજાર કિલો પુષ્પોની વર્ષા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/sarangpur.jpg)
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ-હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ યોજાશે
બોટાદ, બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલાં જગપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ મંદિર પરિસર ખાતે સતત ત્રણ દિવસ માટે હનુમાન જયંતી મહોત્સવની અનેકવિધ ધાર્મિક અને રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ઉપરાંત, આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ૫૪ ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર ૫ાંચ હજાર કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવશે.
બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત ૨૩ એપ્રિલ સુધી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ યોજાશે. આચાર્ય રાકેશપ્રસાદજીના આશીર્વાદથી તથા શાસ્ત્રીસ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવંમ્ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ વિષ્ણુપ્રકાશદાસજીસ્વામી (અથાણાવાળા) ના માર્ગદર્શનમાં યોજાનાર મહોત્સવ અંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજીએ વિગતવાર માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, સાળંગપુર મંદિરમાં આજે બપોરે ૪ કલાકે કષ્ટભંજનદેવનું ૫૫૫ કિલો પુષ્પ અને ૧૦૦ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન કરાયુ હતું. રાજોપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરતાં હનુમાનજીને પૂજામાં ચાર વેદના મંત્રો અને પ્રાંતિક ભાષામાં લખેલા શા, પુરાણો, ઉપનિષદોનો પાઠ કરવામાં આવશે.
આ સાથે જ શાસ્ત્રીય સંગીત સાથે નર્તકો દ્વારા નૃત્ય પ્રસ્તૂતિ કરવામાં આવશે. તા. ૨૨ને સોમવારે મંદિર પરિસરમાં આવેલી ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર અમદાવાદ, વડોદરા, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવેલાં અલગ-અલગ ૪ પ્રકારના પાંચ હજાર કિલો પુષ્પોનો સંતો અને યજમાનો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવશે.
રાત્રિના ૯ કલાકે પૂજન અને મહાઆરતી તથા કીતભાઈ સાગઠિયા દ્વારા ભક્તિ ગીતોની રમઝટ સાથેનો સાંગીતિક કાર્યક્રમ યોજાશે. કોઠારી વિવેકસાગરદાસજીએ ઉમેર્યું કે, તા.૨૩ને મંગળવારે વ્હેલી સવારથી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતીના પાવન પર્વેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. જેમાં વ્હેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન કરવામાં આવશે.
આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞા યોજાશે જેમાં ૫૦૦થી વધુ લોકો ભાગ લેશે.હનુમાન જયંતીના દિવસે વડોદરા,અમદાવાદ,સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ અને કલકત્તાથી ખાસ મંગાવેલાં મોગરા સહિતના પાંચ હજાર કિલો ફૂલોથી સમગ્ર મંદિરને શણગારવામાં આવશે. આ ફૂલના શણગારમાં ૧૫ સંતો-પાર્ષદો અને ૧૦૦ જેટલા હરિભક્તો આ સેવામાં જોડાશે. તો ૨૫૦ કિલોની કેક બનાવવામાં આવી છે.