Western Times News

Gujarati News

ગુજરાતનાં મંત્રીઓ ટેન્શનમાં અને અમુક ધારાસભ્યો ગેલમાં છે?

હાઈ કમાન્ડે આપેલું લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો મંત્રીપદ છોડવું પડશે અને ધારાસભ્યોને જણાવવામાં આવ્યું હતું

ગાંધીનગર, ગુજરાતનાં ભારતીય જનતા પક્ષના મોવડીમંડળ દ્વારા ગુજરાત મંત્રીમંડળમાં જોડાયેલા સભ્યો અને ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી માટે તેમનાં જે તે વિસ્તારમાં અગાઉની ધારાસભાની કે લોકસભાની ચૂંટણીમાં થયું હોય તે કરતા ઉંચું મતદાન કરાવવા માટે અમુક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા અને એવું કહેવાય છે કે સદરહુ ફરજ સોંપતી વખતે આડકતરી રીતે મંત્રીઓને એવું કહી દેવામાં આવ્યું હતું કે

આ લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો મંત્રીપદ છોડવું પડશે અને ધારાસભ્યોને જણાવવામાં આવ્યું હતું કે જો લક્ષ્યાંક પાર પાડવામાં આવશે તો પ્રધાનમંડળના વિસ્તરણ વખતે તમારું નામ વિચારી શકાશે!હવે બન્યું છે એવું કે કેબિનેટ કક્ષાના ૯ મંત્રીઓમાંથી ૭ મંત્રીઓ અને રાજ્યકક્ષાના ૮ મંત્રીઓનાં વિસ્તારમાં મતદાન ઉંચું જવાને બદલે નીચું ગયું છે એટલે એ સૌ મંત્રીઓ ટેન્શનમાં આવી ગયા છે અને

સામા પક્ષે જે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં ઉંચું મતદાન કરાવી શક્યા છે એ સૌ પ્રધાનમંડળના આગામી વિસ્તરણમાં પોતાનો નંબર લાગી જશે એવી આશામાં ગેલમાં આવી ગયા છે.બાકી હાલ તો હવે શું થશે એના વિચારોમાં સૌ ચિંતાતુર છે હોં!

શ્રીમતી નિધિ મકરંદ ચૌહાણનો શિક્ષણ-સેવા યજ્ઞ
ગુજરાત રાજ્યની સનદી કેડરના ૨૦૦૭ની બેચના આઈ.પી.એસ.અધિકારી મકરંદ ચૌહાણ હાલ લાંચરુશવત વિરોધી બ્યુરો, અમદાવાદના સંયુક્ત નિયામક તરીકે ફરજ બજાવે છે.ચૌહાણના ધર્મપત્ની અને મૂળ દિલ્હીના રહેવાસી શ્રીમતી નિધિ ચૌહાણે એક સુંદર શિક્ષણ સેવાયજ્ઞ અમદાવાદમાં શરું કર્યો છે.

શું છે આ શિક્ષણ સેવાયજ્ઞ? એ પ્રશ્નનો જવાબ એવો મળે છે કે નિધિ ચૌહાણ છેલ્લા ૧૩ વર્ષથી સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા અને ગરીબ માતાપિતાના બાળકોને વિનામૂલ્યે અભ્યાસ(ટ્યુશન) કરાવે છે.મજાની વાત તો એ છે કે કોઈ ઢોલ નગારા વગાડ્‌યા વિના આ કામ નિધિ ચૌહાણ શાંતિથી કરે છે.આવી ઉમદા પ્રવૃત્તિ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?

એવું પૂછવામાં આવતા નિધિ જણાવે છે કે બાળપણથી આવી સેવાકીય પ્રવૃત્તિ કરવાનું સ્વપ્ન મનમાં હતું અને ૧૩ વર્ષ પહેલાં લગ્ન કરીને ગુજરાતમાં આવી ત્યારે એ સ્વપ્નને સાકાર કરવાની તક મળી અને તેમાં મારા પતિ મકરંદ ચૌહાણનો મને સંપૂર્ણ ટેકો મળ્યો એટલે કામ સરળતાથી આગળ વધ્યું. અહીં એ વાત પણ નોંધવી જોઈએ કે નિધિ ચૌહાણના વર્ગમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા આવતાં

ધોરણ ૧૦ અને ૧૨ના બાળકો પ્રથમ વર્ગમાં પાસ થઈને તેમની નિષ્ઠાનો સુપેરે પડઘો પાડે છે અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસનું ધોરણ આટલું ઉપર લઈ જતા નિધિ ચૌહાણ પણ કેવી નિષ્ઠા અને તલ્લીનતાથી આ બાળકોને ભણાવવા હશે તેની પ્રતીતિ થાય છે.શ્રીમતી નિધિ મકરંદ ચૌહાણ તેમનાં આ શિક્ષણ સેવાયજ્ઞ માટે અભિનંદનના અધિકારી તો છે જ હોં!

ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો પ્રશંસનીય નિર્ણય.
અત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, નોકરિયાતો વગેરે સૌ પોતપોતાની અનુકૂળતા મુજબ વેકેશન ભોગવી રહ્યા છે.

આ વેકેશનના ભોગવટાથી ગુજરાત હાઇકોર્ટેના ન્યાયમૂર્તિઓ અપવાદ છે.તેનું કારણ એ છે કે ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલે આ વેકેશનમાં તેમનાં હાથ નીચેના ન્યાયમૂર્તિઓને વેકેશનમાં પણ કેટલીક કામગીરી સોંપી દીધી છે.

આ અંગેની વિગત એવી છે કે સુનિતા અગ્રવાલે ૧૨ ન્યાયધીશોને ૪ સપ્તાહ માટે કેસની ફાળવણી કરી દીધી છે.આ ન્યાયમૂર્તિઓએ કોર્ટના વેકેશનના સમય દરમિયાન પણ દરરોજ સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ વાગ્યા દરમિયાન કોર્ટે ખુલ્લી રાખીને દરરોજ કેસની સુનાવણી કરવાની રહેશે.

આ પાછળ સુનિતા અગ્રવાલની ઉદાત ભાવના એવી છે કે વેકેશનને કારણે કેસોનો જે ભરાવો થઈ જતો હોય છે તે ન થાય

અને અરજદાર કેસોની વારંવાર પડતી મુદતોના ત્રાસમાંથી બચે.ભારતના ન્યાયતંત્રને જો સુનિતા અગ્રવાલ જેવા થોડા વધુ સંવેદનશીલ ન્યાયમૂર્તિઓ મળી જાય તો ભારતીય ન્યાયતંત્રની સિકલ બદલાઈ જાય.આવા ઉમદા નિર્ણય માટે મૂખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ આપણા સૌના અભિનંદનના અધિકારી છે હોં.

ગાંધીનગરના પાદરે ફરકતો રાષ્ટ્રધ્વજ મેલો થઈ ગયો છે?
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાટનગરના પાદરે એટલે કે અમદાવાદથી વાયા સાબરમતી કે ઈન્દિરા બ્રીજથી આવતા માર્ગ પર અને ઘ-૦ સર્કલ પાસે એક મોટો રાષ્ટ્રધ્વજ,યોગ્ય ઉંચાઇએ મુકવામાં આવ્યો છે.આ ધ્વજની વિશેષતાઓ એ છે કે (૧)ઃ-તે ધરતીથી લગભગ ૫૦ ફૂટ ઉંચે ફરકે છે

(૨)ઃ-આ ધ્વજ ૩૦ટ૨૦ ની સાઈઝનો છે(૩)ઃ-ગાંધીનગર ૧ કિલોમિટર દુર હો ત્યાંથી તે દેખાવા માંડે છે અને(૪)ઃ- ગાંધીનગરની શોભામાં એ અભિવૃદ્ધિ કરે છે.પરંતુ ‘આરંભે શૂરા’ની ઉક્તિ અનુસાર એની જાળવણી અંગે કોઈ કાળજી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતી હોવાનું જણાતું નથી.આ રાષ્ટ્રધ્વજના સ્થાપનને લગભગ બે વર્ષ થઈ ગયાં છે.

ત્યારથી આ ધ્વજ સતત ચોવીસ કલાક હવામાં ફરકતો રહે છે.તેને કારણે તે ખૂબ મેલો થઈ ગયો છે તેથી મહાનગરની શાન વધારવાને બદલે
ઘટાડી દેશે એવો ભય લાગે છે.આ સંજોગોમાં ગાંધીનગર મહાનગરપાલિકા હાલનો ધ્વજ ઉતારી અને તેને સ્વચ્છ કરી પૂનઃ સ્થાપે તે જરૂર જણાય છે હોં!

સરદાર ભવન સચિવાલયમાં વાંદરાઓનો ત્રાસ વધતો જાય છે હોં!
સાવ વિચિત્ર લાગે અને સાચા માનાવાનુ મન ન થાય એવા સમાચાર એ છે કે ગાંધીનગરનાં સરદાર ભવન સચિવાલયમાં આજકાલ વાંદરાનો ત્રાસ વધતો જાય છે.થાય છે એવું કે વાંદરાઓ ઝાડ વાટે બારીમાં પ્રવેશીને પછી સચિવાલયના દાદરમાં બેસી જાય છે.આને પરીણામે દાદર પરથી પસાર થતા કર્મચારીઓ (ખાસ કરીને મહિલાઓ) સતત ફફડાટની લાગણી અનુભવે છે.

ખાસ કરીને વી.આઈ.પી.બ્લોક ગણાતા બ્લોક નંબર -૧,૨ અને ૭ની આસપાસમાં વાંદરાઓનો ત્રાસ વિશેષ પ્રમાણમાં હોવાનું જાણવા મળે છે.આમ તો વાંદરા સામાજિક પ્રાણી છે એટલે એ ટોળામાં જ રહે પણ હાલ સખ્ત ગરમીથી બચવા આ પ્રાણી સચિવાલયના ઓસરી કે દાદરમાં આશરો લેવા આવતું હોય એવું બને.

વળી કેટલાક કર્મચારીઓ જીવદયાથી પ્રેરાઈને વાંદરાઓને બીસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી આપે છે તેને કારણે આકર્ષાઈને પણ વાંદરાંઓ સચિવાલયમાં વધારે આવવા માંડે છે.

વાંદરાઓથી મહિલા કર્મચારીઓ એટલી બધી ગભરાય છે કે પોતાના માર્ગમાં જો કોઈ વાંદરો બેઠેલો જુએ તો રસ્તો બદલી નાંખે છે. અલબત્ત, આ ત્રાસ હાલ તો સીમિત છે પણ પરિસ્થિતિ વકરે તે પહેલાં સચિવાલયની સિક્યોરિટી સિસ્ટમ દ્વારા આ બાબત અંગે પગલાં લેવાય તે ઈચ્છનીય તો છે હોં!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.