Western Times News

Gujarati News

પાટણના દિવ્યાંગ યુવકે અઢી વિઘા જમીનમાં તાઈવાન જામફળની ખેતી કરી મેળવી રૂ.૦૩ લાખની આવક

કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શરીરથી દિવ્યાંગ પણ મેરૂ જેવા મક્કમ ઈરાદા અને મહેનતથી માત્ર ૨૪ વર્ષની ઉંમરે પાર્થ પટેલે બાગાયત ક્ષેત્રમાં ઝુકાવ્યું. શારીરીક શ્રમ અને સતત માવજત માંગી લેતી બાગયતી ખેતીમાં આવડત અને જાત મહેનતના જોરે સફળતા હાંસલ કરી.

ઈચ્છાશક્તિ, પ્રેરણા, અભ્યાસ, મહેનત અને રાજ્ય સરકારની સહાય થકી જન્મથી જ શારીરીક પડકારોનો હિંમતભેર સામનો કરી પાટણના દિવ્યાંગ યુવકે બાગાયત ક્ષેત્રે કાઠું કાઠ્યું. તાઈવાન જામફળની ઓર્ગેનિક ખેતી કરી માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં મેળવ્યું રૂ.૦૩ લાખનું ઉત્પાદન. સાથે જ પ્રાયોગિક ધોરણે શરૂ કરી રેડ મલેશિયન જામફળ અને HRMN ૯૯ જાતના સફરજનની ખેતી.

ખેતીમાં ઓછી આવક છે તેમ માની આજે યુવાનો ખેતીથી વિમુખ થઈ રહ્યાં છે ત્યારે પાટણમાં રહેતા ૨૪ વર્ષિય દિવ્યાંગ યુવાન પાર્થ પટેલે બી.એસ.સી. એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ તેના પિતા દિનેશભાઈની નર્સરીમાં કામ શરૂ કર્યું. જામફળની પદ્ધતિસરની વાવણી અને માવજત થકી ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન લઈ સારા પ્રમાણમાં આવક મેળવી છે. શિક્ષિત દિવ્યાંગ યુવાને બાગાયતી ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિના પિયત, ઓર્ગેનિક ખેતી અને જામફળની ઓછી ચલણમાં હોય તેવી જાતના વાવેતરની પ્રયોગશીલતાનો સમન્વય સાધ્યો છે.

સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે છેલ્લા ૧૨ વર્ષથી નર્સરી ધરાવતા દિનેશભાઈ પટેલના પુત્ર પાર્થ પટેલે ગત વર્ષે અઢી વિઘા જમીનમાં ૧૫ x ૧૫ ના બ્લોકમાં ૨૨૧ જેટલા તાઈવાન જામફળના છોડની વાવણી કરી. પ્રથમ તો જમીનમાં ખાડા કરી તેમાં છાણીયું ખાતર તથા બોનમીલ નાંખી પિયત આપ્યું. થોડા સમય બાદ તેમાં જામફળના છોડ રોપી ડ્રીપ ઈરીગેશન દ્વારા પાણી આપવાનું શરૂ કર્યું. માત્ર અઢાર મહિનાના ટૂંકા ગાળામાં તાઈવાન જામફળના ૨૨૧ છોડમાંથી ૩૦૦૦ કિલો ઉત્પાદન મેળવ્યું. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર અને મોટા કદના ફળના બજારમાં રૂ.૧૦૦ પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો. યોગ્ય વાવણી, માવજત અને પદ્ધતિસરની પિયતના કારણે પ્રથમ ઉત્પાદનમાં જ પાર્થ પટેલે રૂ.૦૩ લાખનું ઉત્પાદન મેળવ્યું.

સામાન્ય રીતે વર્ષમાં એક વાર ઉત્પાદન આપતાં તાઈવાન જામફળની યોગ્ય પદ્ધતિથી ખેતી કરી પાર્થ પટેલ શિયાળો અને ઉનાળો એમ બે ઋતુમાં ઉત્પાદન મેળવશે. હાલ છોડ પર નવા ફ્લાવરીંગ બાદ ફળો આવવાનું શરૂ થતાં વાવેતરના ૧૮ મહિનામાં ૩૦૦૦ કિલોના ઉત્પાદન બાદ બીજા ચાર મહિનાના ગાળામાં બીજું ઉત્પાદન પણ લઈ શકશે.

પ્રથમ વર્ષે પ્લાન્ટ, ખાતર, મજૂરી તથા ડ્રીપ ઈરીગેશન સેટઅપ સહિતનો ખર્ચ બાદ કરતાં અઢી વિઘા જામફળની ખેતીમાંથી રૂ.૦૩ લાખના ઉત્પાદન સાથે રૂ.૧.૫૦ લાખ જેટલો નફો મેળવ્યો છે. ૨૦ થી ૨૫ વર્ષનું આયુષ્ય ધરાવતા જામફળના છોડમાં બીજા વર્ષથી ડ્રીપ ઈરીગેશન સેટઅપ અને પ્લાન્ટેશનનો ખર્ચ કરવાની જરૂરિયાત ન હોઈ નહિવત્ ખર્ચ થવાથી નફાનું પ્રમાણ પણ વધશે.

પાર્થ પટેલે માત્ર નફાકારકતાને ધ્યાનમાં નથી રાખી, બાગાયતી પાકમાં અવનવી જાતના ફળની ખેતી કરી પ્રયોગશીલતાના આધારે બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યો છે. નર્સરીના મધર બ્લોકમાં તાઈવાન જામફળની સાથે મલેશીયાથી મંગાવેલા રેડ મલેશીયન જામફળના સીડ્સમાંથી પ્રાયોગીક ધોરણે ૧૮ જેટલા છોડ તૈયાર કર્યા છે. જ્યારે બીજા સીડ્સ અન્ય ખેડૂતોને પ્રયોગ માટે આપ્યા છે. પાર્થ પટેલે પહેલા ઉત્પાદનને છોડ પર રહેવા દઈ તેના ફ્લાવરીંગ, ફળો અને ઉત્પાદકતાનો અભ્યાસ કર્યો. તેના જણાવ્યા પ્રમાણે ગુજરાતની આબોહવાને અનુરૂપ થઈ રેડ મલેશિયન જામફળ કેટલું ઉત્પાદન અને નફાકારકતા આપી શકે છે તે હજી બીજા બે વર્ષ પછી જાણી શકાશે.

સાથે સાથે સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં ઉગતા સફરજનની HRMN ૯૯ જાતના રોપા પણ તેમણે તૈયાર કર્યા છે. હિમાચલ પ્રદેશથી સફરજનના છોડની સ્ટીક મંગાવી તેની કલમ દ્વારા ૫૦૦ જેટલા રોપા તૈયાર કર્યા છે. કેટલા સમયમાં અને કેટલું ઉત્પાદન લઈ શકાય તે માટે હાલ પ્રાયોગીક ધોરણે તેની વાવણી શરૂ કરી છે.

 વધુ ઉત્પાદન મેળવવાની લાલચે ખેતીમાં રાસાયણીક ખાતરો અને રાસાયણીક દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે પાર્થ પટેલે ગાય આધારીત અને સંપૂર્ણ ઓર્ગેનિક ખેત પદ્ધતિથી વધુ ઉત્પાદન સાથે સારા બજારભાવ પણ મેળવ્યા છે. જામફળના પાકમાં તેઓ બોનમીલ, જીવામૃત અને છાણીયા ખાતરનો વપરાશ કરે છે. ડ્રીપ થકી અપાતા પિયતમાં નીમ ઓઈલનો ઉપયોગ તથા જંતુનાશક તરીકે ગૌમુત્ર, ૧૦ પર્ણી અર્ક અને લીંબોડીના તેલનો છંટકાવ કરે છે. જેનાથી ફળને નુકશાન થતું અટકવા સાથે તેનો કુદરતી સ્વાદ પણ જળવાઈ રહે છે.

ઓર્ગેનિક ખેત પદ્ધતિ પર વાત કરતાં પાર્થ જણાવે છે કે, વર્ષો પહેલા ઢોરના હાડકામાંથી બનાવેલું બોનમીલ ઘણા ખેડૂતો વાપરતાં, હાલ તેનું ચલણ ખુબ ઓછું છે. પરંતુ તેના ગુણ, ફાયદાઓ અને ખર્ચનો અભ્યાસ કર્યા બાદ મેં છાણીયા ખાતરની સાથે તે વાપરવાનું શરૂ કર્યું. લગભગ ડી.એ.પી. ખાતરના ભાવે મળી રહેતા બોનમીલના ઉપયોગથી મેં સરેરાશ બમણું ઉત્પાદન મેળવ્યું છે. કોઈ રાસાયણીક ખાતર કે દવાનો ઉપયોગ વગર પણ વધુ ઉત્પાદન મળી શકે છે. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેલા જામફળના કદ અને તેના કુદરતી સ્વાદના કારણે બજારભાવ પણ સારો મળી રહે છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રયોગશીલતાના આધારે બાગાયતી ખેતી શરૂ કરનાર દિવ્યાંગ યુવાન પાર્થ પટેલને આઈ-ખેડૂત પોર્ટલ થકી સહાય પૂરી પાડવામાં આવી છે. બાગાયતી પાકની ખેતી માટે પ્લાન્ટ, ખાતર, મજૂરી અને ડ્રીપ ઈરીગેશન સીસ્ટમની ખરીદી માટે થયેલા કુલ ખર્ચના ૪૦ ટકા એટલે કે રૂ. ૯૦,૦૦૦ જેટલી સબસીડીની રકમ બાગાયત વિભાગ દ્વારા ચૂકવવામાં આવી. સાથે સાથે નાયબ બાગાયત અધિકારીશ્રી મુકેશભાઈ ગલવાડિયા સહિતના બાગાયત વિભાગના અધિકારીશ્રીઓએ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું છે. આ ઉપરાંત બાગાયતી ખેતીના વધુ વિકાસ માટે પાર્થે રોટરી પાવર વિડર, ટ્રેકટર માઉન્ટ સ્પેયર તથા પાણીની ટાંકી બનાવવા સબસીડી માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે.

 અનિયમિત વરસાદ અને નીચા જળસ્તર ધરાવતા પાટણ જિલ્લામાં ઓછા પાણીએ યોગ્ય પદ્ધતિથી પિયત માટે ડ્રીપ સીસ્ટમ વાપરનાર પાર્થ જણાવે છે કે, પ્રમાણમાં થોડી ખર્ચાળ લાગતી ડ્રીપ સીસ્ટમની ખરીદી માટે સબસીડી થકી સહાયરૂપ થવા બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું. ખાતર અને ડ્રીપની ખરીદીના ખર્ચમાં સબસીડી મળવાથી ઉત્પાદન ખર્ચ ઘટતાં વધુ નફો મેળવી શક્યો.

એક હાથ અને એક પગના પંજા વગર જન્મેલો અને માત્ર ૨૪ વર્ષની ઉંમરે દિવ્યાંગતાને પડકારી બાગાયતી ખેતી તરફ વળેલો શિક્ષિત યુવાન પાર્થ પટેલ પ્રગતિશીલ ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પર ડ્રોપ મોર ક્રોપના સુત્રને સાર્થક કરતાં પાર્થે રાજ્ય સરકારની સહાયથી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી. પાણી બચાવવાના પ્રયાસોના ભાગરૂપે પોતાની બાગાયતી ખેતી સાથે નર્સરીમાં પણ ફુવારા પદ્ધતિ અપનાવી છે. સામાન્ય રીતે થતા ફળોના પાકોમાં ઓર્ગેનિક પદ્ધતિથી નવી જાતોના વાવેતરના વિવિધ પ્રયોગો કરી આવક વધારવાની સાથે અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.