Western Times News

Gujarati News

વિકટ પરિસ્થિતિમાં પુરવઠો જાળવવા સરકારની સંપૂર્ણ તૈયારી

કાચા માલનો પુરવઠો પૂરતો રહેશેઃ સરકારે હાઈવેનું નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટરોને ખાતરી આપી

ભારત પાસે ૭૪ દિવસ ચાલે એટલો ખનિજ તેલ અને પેટ્રોલિયમ પેદાશોનો અનામત જથ્થો

નવી દિલ્હી, ભારત પાસે હાલમાં ૭૪ દિવસ સુધી ચાલે એટલા ખનિજતેલ અને પેટ્રોલિયમ પેદાશોના સંગ્રહ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે, જે જિયો-પોલિટિકલ ટેન્શન જેવી પરિસ્થિતિમાં પુરવઠામાં અવરોધ ઉભો થાય તો તેનો પહોંચી વળવામાં મદદરૂપ બની શકે છે. આ માહિતી સોમવારે સંસદમાં આપવામાં આવી હતી.પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્થાપિત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) સુવિધાઓની કુલ ક્ષમતા ૫૩.૩૦ લાખ મેટ્રિક ટન (MMT‌) જેટલી છે, જે જિયો-પોલિટિકલ જેવી ટેન્શનની પરિસ્થિતિમાં ટૂંકા ગાળાના પુરવઠાની અછત સામે બફર તરીકે કામ કરી શકે છે.

આ જથ્થો આશરે ૯.૫ દિવસની ખનિજતેલની જરૂરિયાત પૂરી પાડી શકે છે.તે ઉપરાંત, દેશમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે ખનિજતેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે ૬૪.૫ દિવસનો સંગ્રહ ઉપલબ્ધ છે. આ રીતે દેશ પાસે કુલ મળીને ૭૪ દિવસની સંગ્રહ ક્ષમતા છે. પેટ્રોલિયમ જથ્થાની ક્ષમતા વધારવા માટે સરકારે જુલાઈ ૨૦૨૧માં બે નવી સુવિધાઓ ઉભી કરવાની મંજૂરી આપી હતી. આ સુવિધાઓ ચંદીખોલ (૪ MMT‌) અને પડુર (૨.૫ MMT‌) ખાતે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડ પર ઉભી કરવામાં આવશે.

આ વિસ્તરણથી તેલનો જથ્થો આયાતના લગભગ ૧૨ દિવસ જેટલો વધશે. સરકારે જિયો-પોલિટિકલ અનિશ્ચિતતાઓ દરમિયાન ઊર્જા પુરવઠો અવિરત રહે તે માટે અનેક પગલાં પણ લીધા છે. તેમાં ખનિજતેલની આયાત સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું, જોખમી અને ટેન્શન વાળા વિસ્તારોને ટાળીને સપ્લાય માર્ગાે પસંદ કરવા અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહકાર વધારવો જેવા વિવિધ પગલા સામેલ છે. અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પેદા થયેલી લોજિસ્ટિક્સ અડચણો છતાં, સરકારે હાઈવે નિર્માણ કંપનીઓને ખાતરી આપી છે કે બિટ્યુમેન (ડામર), સિમેન્ટ અને ડીઝલ જેવા મુખ્ય કાચા માલનો પુરવઠો પૂરતો રહેશે.

એક અહેવાલમાં જણાવાયું છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓએ ‘નેશનલ હાઈવે બિલ્ડર્સ ફેડરેશન’ના સભ્યો સાથે મુલાકાત કરી હતી. કોન્ટ્રાક્ટરોએ ટ્રકોની અવરજવર અને જહાજોમાંથી માલ ઉતારવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરિણામે, ઘણી બાંધકામ કંપનીઓએ સત્તાધારીઓનો સંપર્ક કર્યાે છે.તેમની દલીલ છે કે આ વિક્ષેપો પ્રોજેક્ટના સમયમર્યાદા અને ખર્ચમાં વધારો કરી શકે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.