Western Times News

Gujarati News

ડુંગળી-લસણ તામસિક છે? સુપ્રીમે અરજી ફગાવી દીધી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં એક વકીલે જાહેર હિતની પાંચ જાહેર હિતની અરજીઓ (પીઆઈએલ) દાખલ કરી હતી. જેમાંથી એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ડુંગળી અને લસણમાં તામસિક કે નેગેટિવ એનર્જી હોય છે કે નહીં તે અંગે રિસર્ચ કરાવવામાં આવે.

આ બાબતે સોમવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એડવોકેટ સચિન ગુપ્તાને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસે પૂછ્યું કે, “અડધી રાત્રે આ બધી પિટિશન ડ્રાફ્ટ કરો છો કે શું?”ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે વકીલની પાંચેય જાહેર હિતની અરજીઓ અસ્પષ્ટ, ફાલતુ અને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી.

પિટિશનરે જવાબ આપ્યો હતો કે આ એક સામાન્ય મુદ્દો છે અને દાવો કર્યાે હતો કે ગુજરાતમાં ખોરાકમાં ડુંગળીના વપરાશને કારણે કથિત રીતે એક છૂટાછેડા પણ થયા હતા. ડુંગળી અને લસણ સંબંધિત આ પિટિશનમાં જૈન સમુદાયની ખાનપાન પદ્ધતિનો ઉલ્લેખ હતો, જેઓ પરંપરાગત રીતે ડુંગળી, લસણ અને કંદમૂળને તામસિક ખોરાક માનીને તેનાથી દૂર રહે છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વકીલ સચિન ગુપ્તાને પૂછ્યું કે, “તમે જૈન સમુદાયની લાગણીઓને કેમ ઠેસ પહોંચાડવા માંગો છો?” સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતા કહ્યું કે, જો પિટિશનર વકીલ ન હોત તો અમે ભારે દંડ ફટકારીને આ અરજી રદ કરી હોત. આ અરજી કેઝ્યુઅલ ડ્રાફ્ટિંગ અને સુપ્રીમ કોર્ટ પર બોજ નાખવાનું એક ઉદાહરણ છે.

ગુપ્તાને ચેતવણી આપવામાં આવી હતી કે હવે પછી જો તમે આવી પિટિશન ફાઈલ કરશો, તો મોટો દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત એડવોકેટ સચિન ગુપ્તાની જે અરજીઓ ફગાવવામાં આવી, તેમાં દારૂ અને તમાકુની પ્રોડક્ટ્‌સમાં નુકસાનકારક તત્વોને નિયંત્રિત કરવા માટે નિર્દેશ આપવાની માંગ, પ્રોપર્ટીનું ફરજિયાત રજિસ્ટ્રેશન પાકું કરવા માટે આદેશ આપવાની માંગ અને શાસ્ત્રીય ભાષાઓ જાહેર કરવા માટેની ગાઈડલાઈન્સની માંગ કરતી અરજીનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.