સુરતમાં પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે સરકારની કડક કાર્યવાહી: કોન્ટ્રાક્ટર પાસેથી 1.04 કરોડ વસૂલ્યા
ગાંધીનગર, ૧૩ માર્ચ: સુરત જિલ્લામાં ટેસ્ટિંગ દરમિયાન નવી બનેલી ઓવરહેડ પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે ગુજરાત સરકારે નિર્માણ એજન્સી પાસેથી ₹૧.૦૪ કરોડની વસૂલાત કરી છે. જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે શુક્રવારે રાજ્ય વિધાનસભામાં આ જાણકારી આપી હતી.
ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, તડકેશ્વર ગામના હરિયાળ સબ હેડવર્કસ ખાતે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી.
ઘટનાની વિગતો અને લેવાયેલા પગલાં:
-
ટાંકીની ક્ષમતા અને ખર્ચ: ૯ લાખ લિટરની સંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકી ₹૯૪.૮૪ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી ₹૮૩.૪૫ લાખ એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા હતા.
-
કઠોર કાર્યવાહી: સરકારે કોન્ટ્રાક્ટર પાસેથી ₹૧.૦૪ કરોડ વસૂલવાની સાથે જવાબદાર પેઢી સામે પોલીસ ફરિયાદ (FIR) પણ દાખલ કરી છે.
-
ધરપકડ અને સસ્પેન્શન: આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડી (જેલ) માં છે.
-
તપાસ: મંત્રીએ ગૃહને ખાતરી આપી હતી કે આ એજન્સી દ્વારા કરવામાં આવેલા અન્ય કામોની પણ કડક તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, “આ બાબતમાં દોષિત જણાશે તેને છોડવામાં આવશે નહીં.”
કોન્ટ્રાક્ટરે બનાવેલી અન્ય ૧૩ પાણીની ટાંકી શંકાના ઘેરામાં: નવી બનાવાયેલી ટાંકી કકડભૂસ
આ ઘટના જાન્યુઆરી મહિનામાં બની હતી જ્યારે ‘ગાયપગલા જૂથ પાણી પુરવઠા યોજના’ હેઠળ બનેલી ૧૫ મીટર ઊંચી ટાંકીમાં તેની મજબૂતી ચકાસવા માટે પાણી ભરવામાં આવી રહ્યું હતું. આ માળખું અચાનક ધરાશાયી થતા નજીકમાં કામ કરતા ત્રણ શ્રમિકોને ઈજા થઈ હતી. આ યોજનાનો હેતુ પ્રદેશની આજુબાજુના ગામોને પીવાનું પાણી પૂરું પાડવાનો હતો.
મંત્રીએ વિધાનસભામાં વધુમાં જણાવ્યું હતું કે, તે જ સ્થળે નવી ટાંકી બનાવવામાં આવશે જેથી સ્થાનિક રહેવાસીઓને પાણીનો પુરવઠો મળતો રહે. છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં ૨૦,૦૦૦ થી વધુ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. સુરત જિલ્લામાં ૩૪ ગામોને પાણી પહોંચાડવા માટે ₹૨૪ કરોડથી વધુની યોજના મંજૂર કરવામાં આવી છે.
