Western Times News

Gujarati News

આગામી 19 માર્ચથી શરૂ થશે પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા

  • શ્રદ્ધાળુઓની પરિક્રમાને સુગમ બનાવવા રાજ્ય સરકારની સેવા-સુવિધાની સરવાણી •વીજળી, પાણી, ભોજન, આવાસ, ક્રાઉડ મૅનેજમેન્ટ સહિત દરેક રીતે પડખે રહેશે સરકાર-•યાત્રાધામ વિકાસ બોર્ડે ઉપાડી પરિક્રમાની તમામ જવાબદારીઓ

ગાંધીનગર, 16 માર્ચ : ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી; પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે.

ગુજરાત સરકાર પણ દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશાળ પાયે વ્યવસ્થાઓ કરે છે. આ વર્ષે આગામી ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ચાલનારી આ 30 દિવસીય નર્મદા પરિક્રમા માટે પણ રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ સાથે આધુનિક સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીનાં સંવેદનશીલ નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર નર્મદા પંચકોશી પરિક્રમા માટે એવી વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે કે જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા; ત્રણેયનો સુમેળ જોવા મળશે.

રૂ. 5.41 કરોડના ખર્ચે હંગામી સુવિધાઓનું વ્યાપક વિસ્તરણ

નર્મદા પરિક્રમાર્થીઓની ‘દુર્ગમ’ યાત્રાને ‘સુગમ’ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય; તે માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે મોટા પાયે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025–26માં નર્મદા પરિક્રમા માટે લગભગ રૂ. 5.41 કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

તેમાં વધારાના ડોમ શેલ્ટર, મોબાઈલ-ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, 24×7 એમ્બ્યુલન્સ, લાઇટિંગ તથા ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ, વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓસીકા, ખુરશીઓ અને બેડશીટ સાથેની બેઠક અને વિશ્રામની વ્યવસ્થા રહેશે. આ સાથે; સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સુગમતા માટે સેવા કેન્દ્રો અને દુકાનો ઉભી કરવામાં આવી રહી છે.

સ્વચ્છતા, આરોગ્ય અને વ્યવસ્થાપનને ટોચની પ્રાથમિકતા

યાત્રાધામ બોર્ડ દ્વારા પરિક્રમા વિસ્તારને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ હંગામી શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન અને સ્નાન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સતત પાણી પુરવઠો, ડ્રેનેજ અને કચરાના નિકાલ માટે સુવ્યવસ્થિત સવલતો ઉભી કરવામાં આવી છે. એક મહીનાની પરિક્રમા દરમિયાન હાઉસકીપિંગ ટીમો અનેક શિફ્ટોમાં કાર્યરત રહેશે કે જેથી પરિક્રમા વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે.

સુરક્ષા અને આધુનિક ટેક્નોલોજી સાથે ક્રાઉડ મેનેજમેન્ટ

લાખો શ્રદ્ધાળુઓના આગમનની શક્યતાને જોતા સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરવામાં આવશે. તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ (આઈઆર) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે.

લાઇટિંગ, કોમ્યુનિકેશન અને સર્વેલન્સની આધુનિક સુવિધાઓ

પરિક્રમા માર્ગ અને તમામ ઘાટોને પ્રકાશિત કરવા માટે વ્યાપક લાઇટિંગ વ્યવસ્થા કરાઈ રહી છે. સમગ્ર 18 કિલોમીટરના માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે કે જેથી રાત્રિના સમયે પણ યાત્રાળુઓને સલામત અને સ્પષ્ટ માર્ગ મળી રહે. જાહેર ઉદ્ઘોષણાઓ માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રહેશે. ટેક્નિકલ ઓપરેટરો દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવશે.

હવે કાયમી સુવિધાઓ પર ભાર : રૂ. 5.07 કરોડના ખર્ચે પરમાનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર

રાજ્ય સરકારના સહકારથી યાત્રાધામ બોર્ડ હવે નર્મદા પરિક્રમાર્થીઓ માટે ધીમે-ધીમે કાયમી સુવિધાઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે કે જે હવે પરિક્રમાર્થીઓ માટે કાયમી રાહતનો આધાર બનવાના છે. તેમાં

(1) શ્રી મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક

(2) શ્રી સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ

(3) શ્રી બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આમ; ગુજરાત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ રાજ્યની સાંસ્કૃતિક-સનાતન પરંપરાઓને વધુમાં વધુ પ્રોત્સાહન આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.