CII દ્વારા ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @ $1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદ યોજાઈ
ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે : મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્ર પટેલ
Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાતના વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$૧ ટ્રિલિયન ઇકોનોમી‘ વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતમાં વિકાસ માત્ર વાપી-વડોદરા બેલ્ટ પૂરતો સીમિત હતો. પરંતુ વડાપ્રધાનશ્રીએ સમગ્ર ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો વિચાર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને વીજળી જેવી માળખાકીય જરૂરિયાતો મજબૂત કરી. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે,તેમ જણાવ્યું હતું
માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પરના અખૂટ વિશ્વાસને કારણે જ આજે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સેમીકન્ડક્ટર જેવી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીઝ આવી છે. જે કામ દાયકાઓ સુધી અશક્ય લાગતું હતું, તે આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે,દેશની માત્ર ૫% વસ્તી હોવા છતાં જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮% છે, જેને આપણે ૧૦% થી ઉપર લઈ જવો છે. મેન્યુફેક્ચરિંગ: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત ૧૭% હિસ્સો ધરાવે છે. નિકાસ (Export): દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો ૩૩% જેટલો માતબર છે.
MSME: ૨૦૦૧-૦૨માં જે એમએસએમઈની સંખ્યા ૧.૮૫ લાખ હતી, તે આજે વધીને ૨૭.૯ લાખ થઈ છે. લોજિસ્ટિક્સ: દેશના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦% હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. સેક્ટર વાઈઝ હિસ્સો: કેમિકલ ઉદ્યોગમાં ૩૩%, ફાર્મા એક્સપોર્ટમાં ૧૯.૨% અને ડાયમંડ એક્સપોર્ટમાં ૮૦% હિસ્સો ગુજરાતનો છે તેમ જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત એક ‘પોલિસી ડ્રિવન સ્ટેટ‘ છે. ઉદ્યોગકારોને દરેક તબક્કે સપષ્ટતા મળે તે માટે સ્પષ્ટ નીતિઓ બનાવવામાં આવી છે અને સમયની માંગ મુજબ તેમાં જરૂરી બદલાવ પણ લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત‘ માટેનો રોડમેપ તૈયાર કરી લીધો છે અને તેને જમીન પર ઉતારવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે.
ઔદ્યોગિક શક્તિમાંથી વૈશ્વિક આર્થિક કેન્દ્ર બનવા તરફ ગુજરાતના દ્રઢ સંકલ્પના આ કાર્યક્રમમાં CII વેસ્ટર્ન રીઝનના ચેરમેન શ્રી ઋષિકુમાર બાગલા, CII ગુજરાતના ચેરમેન શ્રી પ્રેમરાજ કશ્યપ, વાઈસ ચેરમેન શ્રી અચલ બકેરી, માઈક્રોન ટેકનોલોજીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ શ્રી ગુરુશરણ સિંહ, CIIના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
