‘યુએસ હુમલો કરશે, તો પાકિસ્તાન મુંબઈ-દિલ્હી પર મિસાઈલ ફેંકશે’
ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતના એક નિવેદન થકી મોટો વિવાદ ઊભો થયો છે. એક ચર્ચા દરમિયાન તેમણે અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું કે જો પાકિસ્તાન પર કોઈ બાહ્ય હુમલો થાય છે, તો તેણે ભારતના મુંબઈ અને નવી દિલ્હી જેવા શહેરોને નિશાન બનાવવા જોઈએ.
આના પ્રતિસાદમાં ભાજપે કહ્યું છે કે આ દેશ (પાકિસ્તાન) આતંકવાદ વગર રહી શકતો નથી.બાસિતે એક કાલ્પનિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે છે, તો આપણે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ભારત પર હુમલો કરવો પડશે. આપણે તેને છોડીશું નહીં; ત્યારબાદ જે પણ પરિણામ આવશે, તે જોઈ લેવાશે.’’
જોકે તેમણે આ પરિસ્થિતિને અશક્ય ગણાવી હતી, પરંતુ ભારતના અગ્રણી શહેરોનું સીધું નામ લેવાને કારણે તેમના નિવેદનની આકરી ટીકા થઈ રહી છે.અબ્દુલ બાસિત ૨૦૧૪-૨૦૧૭ સુધી નવી દિલ્હીમાં પાકિસ્તાનના ટોચના રાજદ્વારી રહી ચૂક્યા છે. તેમના આ જૂના હોદ્દાને કારણે તેમના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે.
તેમણે પોતાની દલીલમાં કહ્યું કે જો કોઈ પાકિસ્તાન તરફ ખરાબ નજરથી જોશે, તો તેમની પાસે ભારત પર હુમલો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દક્ષિણ એશિયામાં પહેલાથી જ ઘણો તણાવ છે. જોકે બાસિતે એ પણ ઉમેર્યું હતું કે ન તો પાકિસ્તાન આવું ઈચ્છે છે અને ન તો ભારત, પરંતુ તેમની આ પ્રકારની નિવેદનબાજીએ પ્રાદેશિક સુરક્ષા અને પૂર્વ અધિકારીઓની ભાષાની મર્યાદા પર એક નવી ચર્ચા છેડી દીધી છે.SS1MS
