ગુજરાત મીડિયા એવોર્ડઃ મીડિયા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ ગુજરાતના મીડિયાકર્મીઓનું સન્માન કરાયું
ગુજરાત મીડિયા એવોર્ડ ૨૦૨૬માં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિઃ વિવિધ ૨૨ કેટેગરીમાં મીડિયા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા
અમદાવાદ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત મીડિયા એવોર્ડ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉનહોલ, પાલડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મીડિયા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ મીડિયાકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ બાબતોમાં વિશિષ્ટ કામગીરી કરનારા અને આગવું યોગદાન આપનારા મીડિયા કર્મીઓ અને પત્રકારોને અલગ અલગ ૨૨ કેટેગરી અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલને આ પ્રસંગે લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરીને પત્રકારત્વ ક્ષેત્રે તેમની અમૂલ્ય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬ના અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પત્રકારત્વને લોકશાહીનો મજબૂત સ્તંભ અને સમાજ સેવા માટેનું એક પવિત્ર ‘મિશન’ ગણાવ્યું હતું. તેમણે પત્રકારોની ૨૪ કલાકની અથાગ મહેનતને બિરદાવતા જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નોને મીડિયા દ્વારા ઉજાગર કરવાનું કાર્ય અત્યંત આવકાર્ય છે, કારણ કે તેનાથી તંત્ર જાગૃત બને છે અને પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં સરળતા રહે છે.
મંત્રીશ્રીએ મીડિયા અને સરકાર વચ્ચેના સકારાત્મક સહયોગ પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, સમાજમાં ફેલાતી ભ્રામક પરિસ્થિતિ કે અફવાઓ સમયે લોકો સુધી સત્ય પહોંચાડવાવામાં મીડિયાની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ પત્રકારો પોતાની ધારદાર કલમ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ઉમદા કાર્ય ચાલુ રાખશે.

પોતાના ઉદબોધનમાં વરિષ્ઠ પત્રકાર પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલે પત્રકારત્વને માત્ર વ્યવસાય નહીં પણ એક ‘મિશન’ ગણાવતા જણાવ્યું હતું કે સફળતાની ચાવી ‘આઉટ ઓફ બોક્સ’ વિચારધારામાં રહેલી છે.
તેમણે પોતાના સંઘર્ષકાળ અને અનુભવોને વાગોળતા યુવા પત્રકારોને પ્રેરણા આપી હતી કે, ચીલાચાલુ પદ્ધતિથી હટીને મૌલિક અને સંવેદનશીલ વિચારધારા અપનાવવી અનિવાર્ય છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ તેના પરિવાર અને ખાસ કરીને માતા-પિતાનો અદ્રશ્ય પણ પાયાનો ફાળો હોય છે, જેનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે.

ગુજરાત મીડિયા એવોર્ડ ૨૦૨૬ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટ, એવોર્ડ્સના જ્યૂરી તરીકે સેવા આપનારા ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા શ્રી સોનલ પંડ્યા અને NIMCJના ડાયરેક્ટર શ્રી શિરીષ કાશિકર, અગ્રણી શ્રી ભરત પંડ્યા, શ્રી ગોવિંદભાઈ વરમોરા સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા મીડિયા સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
