કોઇપણ મહિલાને મહિનામાં ત્રણ દિવસ અછૂત ન માની શકાયઃ સુપ્રીમ
નવી દિલ્હી, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનો મુદ્દો ધાર્મિક શ્રદ્ધા તેમજ સાંપ્રદાયિક સ્વાયત્તતાના ક્ષેત્રમાં આવે છે અને તે ન્યાયિક સમીક્ષાના દાયરાની બહાર છે.
આ પ્રતિબંધને અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ ગણાવતા ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પણ કેન્દ્રે સખત વિરોધ કર્યાે હતો. જોકે ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે કોઈ સ્ત્રીને મહિનામાં ત્રણ દિવસ માટે અસ્પૃશ્ય ગણવામાં આવે અને ચોથા દિવસથી અસ્પૃશ્યતા દૂર થઈ જાય તેવું માની શકાય નહીં.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે વિવિધ ધર્માેમાં ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથેના ભેદભાવ સંબંધિત અરજીઓની સુનાવણી ચાલુ કરી હતી. કેરળમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા પહેલા આ સુનાવણીનું વિશેષ મહત્ત્વ છે. કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જો ધાર્મિક પ્રથાઓ જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યનું ઉલ્લંઘન કરતી હોય તો અદાલતો હંમેશા હસ્તક્ષેપ કરી શકે છે.
જો કોઈ પ્રથા અવૈજ્ઞાનિક લાગે છે, તો તેનો ઉકેલ સંસદ કે વિધાનસભા પાસે છે, કોર્ટ પાસે નહીં.સર્વાેચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જો કોઈ સામાજિક દૂષણને ધાર્મિક પ્રથા તરીકે ઓળખવામાં આવે તો કોર્ટ તેની કાયદેસરતાની ચકાસણી કરી શકે છે.
મહેતાએ રજૂઆત કરી હતી કે તેમને ૨૦૧૮ના સબરીમાલા ચુકાદામાં એક અવલોકન સામે સખત વાંધો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે ૧૦થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓને મંદિરમાંથી બાકાત રાખવી એ અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ છે અને તે બંધારણની કલમ ૧૭નું ઉલ્લંઘન કરે છે.SS1MS
