Western Times News

Gujarati News

મુંબઈએ બોલિંગમાં બુમરાહથી આગળ વિચારવું પડશેઃ પ્લેસિસ

મુંબઈ, સાઉથ આળિકાના ભૂતપૂર્વ સુકાની અને અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમી ચૂકેલા ફાફ ડુ પ્લેસિસનું માનવું છે કે જો મુંબઈ ઇન્ડિયન્સ વર્તમાન આઇપીએલ સિઝનમાં સાતત્ય જાળવવા માંગતું હોય તો તેમણે તેમના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પરની વધુ પડતી નિર્ભરતા ઘટાડવી પડશે. ટુર્નામેન્ટની પહેલી મેચ જીત્યા બાદ હંમેશા ‘ધીમી શરૂઆત’ કરનારી મુંબઈની ટીમ હવે સતત ત્રણ મેચ હારી ગઈ છે.

રવિવારે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૨૪૦ રનનો પીછો કરવામાં પણ ટીમ નિષ્ફળ રહી હતી અને અંતે તેનો ૧૮ રનથી પરાજય થયો હતો.ગુજરાતી બોલર જસપ્રિત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સનું મુખ્ય શસ્ત્ર છે પરંતુ આશ્ચર્યજનક રીતે તે છેલ્લી ચાર મેચમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નથી.

ફાફ ડુ પ્લેસિસના મતે જ્યારે રમત ૨૫૦ કે તેથી વધુ રનની હાઈ-સ્કોરિંગ હોય ત્યારે બુમરાહની ચાર ઓવર (જે સામાન્ય રીતે કરકસરયુક્ત હોય છે) સિવાય બાકીના બોલરો કેટલા રન આપે છે તેનું આકલન કરવું પણ જરૂરી છે. તેણે સૂચવ્યું કે મુંબઈએ બુમરાહનો ઉપયોગ નિર્ણાયક તબક્કે સમજદારીપૂર્વક કરવો જોઈએ અને અન્ય બોલરોએ પણ જવાબદારી લેવી પડશે.આ જ વિષય પર ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે મુંબઈના પાવરપ્લેના ખરાબ પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો હતો.

ગાવસ્કરે જણાવ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ અને બોલિંગ બંને મોરચે પાવરપ્લેમાં સુધારો કરવાની જરૂર છે. પ્રથમ છ ઓવરમાં ટીમ રમત પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે જેને કારણે રન રેટ સતત વધતો જાય છે. ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ સ્વીકાર્યું છે કે પાવરપ્લેમાં અપેક્ષિત પરિણામો ન મળવા એ પાંચ વખતની ચેમ્પિયન ટીમ માટે ચિંતાનો વિષય છે.

વર્તમાન સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન કથળી રહ્યું છે. લગભગ દાયકા બાદ તેણે સિઝનની પ્રથમ મેચ જીતવામાં સફળતા હાંસલ કરી હતી પરંતુ ત્યાર બાદ તે સતત ત્રણ મેચ હારીને હાલમાં આઠમા ક્રમે છે. જસપ્રિત બુમરાહ હજી આ સિઝનમાં વિકેટનું ખાતું ખોલાવી શક્યો નથી. બુમરાહ સિવાયના અન્ય ખેલાડીઓ પણ હજી સુધી પ્રભાવ દાખવી શક્યા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.