Western Times News

Gujarati News

ઇઝરાયેલના એક નિર્ણય પર ભડક્યા સાઉદી-કતાર સહિત ૧૬ મુસ્લિમ દેશ

ઇઝરાયેલ દ્વારા સોમાલીલેન્ડમાં પોતાના રાજદ્વારી પ્રતિનિધિ નિયુક્ત કરવાના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જાયો છે

જેરૂસાલેમ,  કતાર, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કી સહિત ૧૬ આરબ અને ઇસ્લામિક દેશોના વિદેશ મંત્રીઓએ શનિવાર ૧૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ દોહામાં એક સંયુક્ત નિવેદન જાહેર કરીને સોમાલીલેન્ડમાં ઇઝરાયેલ દ્વારા રાજદ્વારી પ્રતિનિધિની નિમણૂકની સખત નિંદા કરી છે. આ દેશોએ જણાવ્યું છે કે ઇઝરાયેલનો આ નિર્ણય સોમાલિયા સંઘીય પ્રજાસત્તાકની સાર્વભૌમત્વ, એકતા અને પ્રાદેશિક અખંડિતતાનું સીધું ઉલ્લંઘન છે.

ઇસ્લામિક દેશોએ તેમના નિવેદનમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો વિરુદ્ધ લેવાયેલું આ પગલું એક ખતરનાક દાખલો બેસાડી શકે છે. મંત્રીઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે માત્ર સોમાલિયાની કાયદેસરની રાજ્ય સંસ્થાઓ જ ત્યાંની જનતાની ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ વિરોધમાં કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સોમાલિયા, સુદાન, લિબિયા, બાંગ્લાદેશ, અલ્જીરિયા, પેલેસ્ટાઈન, તુર્કી, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, મોરિટાનિયા, જોર્ડન અને ઓમાનના વિદેશ મંત્રીઓ સામેલ હતા.

તેમણે એવા કોઈપણ એકપક્ષીય પગલાને ફગાવી દીધું છે જે રાજ્યોની એકતાને નબળી પાડે છે. સંયુક્ત નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઇઝરાયેલનો આ નિર્ણય આફ્રિકન યુનિયનના બંધારણીય અધિનિયમનું ઉલ્લંઘન કરે છે. દેશોએ ચેતવણી આપી છે કે આવી કાર્યવાહીથી ‘હોર્ન ઓફ આફ્રિકા’ ક્ષેત્રમાં અસ્થિરતા પેદા થઈ શકે છે, જેની પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પર નકારાત્મક અસર પડશે. ૧૬ દેશોએ સોમાલિયાની એકતા પ્રત્યે પોતાનું અતૂટ સમર્થન ફરી વ્યક્ત કર્યું છે.

સોમાલીલેન્ડને લઈને ઇઝરાયેલના આ પગલાથી રાજદ્વારી ગલિયારાઓમાં કડવાશ ઊભી થઈ છે. કતારના વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, સોમાલીલેન્ડને ‘તથાકથિત’ વિસ્તાર ગણાવીને ઇઝરાયેલી દૂતની નિમણૂકને ગેરકાયદેસર માનવામાં આવી છે. મુસ્લિમ દેશોનો તર્ક છે કે આ એકપક્ષીય કાર્યવાહી સોમાલિયાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ છે અને વૈશ્વિક મંચ પર તેને સ્વીકારવામાં આવશે નહીં.

વિદેશ મંત્રીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ સોમાલિયાની સાર્વભૌમત્વનું સન્માન કરે. તેમણે કહ્યું કે ઇઝરાયેલની આ પહેલથી આ પ્રદેશમાં ચાલી રહેલા શાંતિના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે. આ ૧૬ દેશોએ એકજુટ થઈને કહ્યું કે તેઓ સોમાલિયાની અખંડિતતા બચાવવા માટે તમામ શક્્ય રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખશે અને આવા કોઈપણ દૂતને માન્યતા આપવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.