Western Times News

Gujarati News

અમદાવાદના એક વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટઃ BJP– કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

પડતર પ્રશ્નને કારણે ગુજરાતના કેટલાંક ગામોના મતદારોએ મતદાનનો સામૂહિક બહિષ્કાર કર્યાે-કેટલીક જગ્યાએ EVM ખોટકાયાની ફરિયાદો ઉઠી

અસહ્ય ગરમી વચ્ચે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં અંદાજે ૫૭%થી વધુ મતદાન -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલેટ પેપર મારફતે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી

(એજન્સી)ગાંધીનગર, ૨૬મી એપ્રિલના રોજ ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતો માટે ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું. રાજ્યમાં સાંજ છ વાગ્યા સુધીમાં એકંદરે ૫૭થી ૬૦ ટકા જેટલુ મતદાન યોજાયું હતું. અમદાવાદ સહિત ૧૫ નગરપાલિકાઓમાં અંદાજે ૫૩ ટકા જેટલુ મતદાન થયું હતું.

જ્યારે ૮૪ નગરપાલિકાઓમાં ૫૮, ૩૪ જિલ્લા પંચાયતમાં ૬૧ ટકા અને ૨૬૦ તાલુકા પંચાયતમાં પણ ૬૧ ટકાથી વધારે મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીની વાત કરવમાં આવે તો વર્ષ ૨૦૨૧માં છ મનપામાં ૪૮ ટકા, ૩૧ જિલ્લા પંચાયતમાં ૬૭ ટકા, ૨૩૧ તાલુકા પંચાયતમાં ૬૭ ટકા અને ૮૧ નગરપાલિકામાં ૫૯ ટકા જેટલુ મતદાન થયું હતું. આમ આજે સાંજે મતદાન પૂર્ણ થતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગભગ ૨૫ હજારથી વધારે ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં છે અને હવે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઈવીએમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રંગરૂમમાં રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે સવારે ચુસ્ત બંદોબસ્તની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો હતો. સવારથી જ મતદાન માટે મતદારોની લાઈન જોવા મળી હતી. મતદાન શરૂ થયા બાદ અનેક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની ફરિયાદો ઉઠી હતી. જો કે, ચૂંટણી અધિકારીઓએ તાત્કાલિક ઘોરણે ઈવીએમ બદલીને મતદાન પ્રક્રિયા ફરીથી શરૂ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ મતદાન કરીને મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને કોંગ્રેસ આગેવાન શહેઝાદખાન પઠાણ સહિતના કોંગ્રેસના આગેવાનો અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીને કારણે મતદાન ઉપર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ હતી. જો કે, ચૂંટણીપંચ દ્વારા મતદારોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આકરી ગરમી થતા પણ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે મતદાનકેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. જ્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને મતદારોને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

મતદાન દરમિયાન ક્ટલીક જગ્યાએ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યાં હતા. અમદાવાદ શહેરમાં મતદાન દરમિયાન મતદાન કેન્દ્રમાંથી બોગસ પોલીંગ એજન્ટ ઝડપાયો હતો. જ્યારે રાજકોટમાં ચૂંટણીપંચના નિયમોનો ભંગ કરીને મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વર્જાયની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થયો હતો. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીપ્રચરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ વખતનો ચૂંટણીપ્રચાર સામાન્ય કરતાં વિશેષ રહ્યો હતો તેમાં ઘણી બધી બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચ્યાં હતા.

ત્યારે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તા પક્ષનો લોકો દ્વારા વ્યાપક વિરોધ પણ જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલાં જ ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે જીતી લીધી હતી. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે ૧૧ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રાજ્યમાં કુલ ૭૩૩ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે.

જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. વડોદરામાં વોર્ડ નં ૧૪માં ફરી ભાજપ કોંગ્રેસ આમનેસામને આવી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે પણ હાથાપાઇ થઈ હતી. વાડી ટાવર પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણથી ઉત્તેજના ફેલાઈ છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્‌યો છે.

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઈ છે. ભાજપ – કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. કુબેરનગરની વીવી તોમર સ્કૂલમાં ભાજપ – કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ છે. જે બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓને બુથ મથકથી હટાવ્યા છે. પાટણમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં મતદાન સમયે ૬૫ વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. બી એમ સ્કૂલના મતદાન કેન્દ્ર પર ૬૫ વર્ષીય કમળાબેન સોલંકી નામના વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વૃદ્ધાની તબિયત નાજુક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ધ્રોલ તાલુકાના પિપરટોડા ગામના રહિશોએ રસ્તાની અસુવિધાના મામલે રોષ વ્યક્ત કર્યો છે અને ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનનોનો આક્ષેપ છે કે, તેમને સાંભળ્યા વગર નિર્ણય લેવાતા ચુંટણી બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. આ સાથે ડેડીયાપાડાના દુથર ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ સાથે ખેડાના ચિખલોડ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામના ત્રણેય બૂથ પર અત્યાર સુધી એકપણ મત પડ્‌યો નથી. ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. મહીસાગરમાં ખાતું પગીના મુવાડામાં ચૂંટણી બહિષ્કાર યથાવત છે. ભાવનગરના મહુવાના ઉમણીયાવદર ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો છે. ભદ્રોડ જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામ લોકોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ડાંગના આહવા તાલુકાના કોટમદર ગામે ડુબાઉ નાળાના મુદ્દે ચૂંટણી બહિષ્કાર.રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો સાથે ગ્રામજનોએ મતદાનનો ત્યાગ કર્યો છે. આ સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે લોકોએ મતદાનનો વિરોધ નોંધાવ્યો. પાણી, રોડ અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થતા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી મતદાન ન કરવાની ચેતવણી આપી અને બહિષ્કાર કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.