Western Times News

Gujarati News

BJP પ્રમુખે અંબાજીના માતાજીના આશીર્વાદ મેળવીને મંદિરના શિખર પર સુવર્ણકળશની સાક્ષીએ ધજા રોહણ કર્યું

અંબાજી:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ શક્તિપીઠ અંબાજી ખાતે શીશ ઝુકાવ્યું હતું.

15 મહાનગરપાલિકાઓ અને મોટાભાગની પંચાયતોમાં કેસરીયો લહેરાયા બાદ, વિશ્વકર્માએ માતાજીના આશીર્વાદ મેળવીને મંદિરના શિખર પર સુવર્ણકળશની સાક્ષીએ ધજા રોહણ કર્યું હતું. આ વિજયને તેમણે જનતાના વિશ્વાસ અને માં અંબાની કૃપા ગણાવી હતી.

મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે જગદીશ વિશ્વકર્માએ મુખ્ય ભટજી મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો પર મહોર મારી છે.

માં અંબાના આશીર્વાદથી જ ભાજપ તમામ મહત્ત્વની બેઠકો પર વિજયી બન્યું છે.” નોંધનીય છે કે 2026ની આ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતની તમામ 15 કોર્પોરેશનમાં ક્લીન સ્વીપ કરીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે.

રાજકીય નિવેદન આપતા વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતના આ વિજયી રથની અસર હવે રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળશે. તેમણે આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનશે તેવી આગાહી કરી હતી. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી રાજકીય હલચલ અને ત્યાંના મતદારોના બદલાતા મિજાજને જોતા ભાજપ હાઈકમાન્ડ અત્યારથી જ વ્યૂહરચના ઘડી રહ્યું છે.

દર્શન બાદ મંત્રીએ અંબાજીમાં હાજર રહેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે અત્યંત આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે લોકો સાથે ફોટોગ્રાફી કરાવીને એક જનપ્રતિનિધિ તરીકે સાદગીનો પરિચય આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.