Western Times News

Gujarati News

સરથાણા નેચર પાર્કમાં કિડનીની બિમારીને કારણે સિંહનું મોત

પ્રતિકાત્મક

સીરમ ક્રિએટીનીનનું લેવલ સતત વધતું હોવાનું સામે આવ્યું હતું, જે કિડની ડિસફંક્શનનું સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે

સુરત, સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાર્કમાં રાખવામાં આવેલ નર સિંહ ‘આર્ય’નું કિડની સંબંધિત ગંભીર બિમારીના કારણે મોત નિપજ્યું છે.

આ ઘટના પછી પાર્કના સ્ટાફ તથા પ્રાણીપ્રેમીઓમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. માહિતી મુજબ, આશરે ૯.૫ વર્ષનો આ સિંહ વર્ષ ૨૦૨૦ દરમિયાન નંદનવન ઝૂ અને જંગલ સફારીમાંથી સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવ્યો હતો. ‘આર્ય’ પાર્કના મુખ્ય આકર્ષણોમાંથી એક હતો અને તેને જોવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હતા.

સિંહ ‘આર્ય’ની તબિયત ૨૯ માર્ચ ૨૦૨૬થી નબળી થવા લાગી હતી. તબીબોની ટીમ દ્વારા તેની નિયમિત ચકાસણી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના લોહીના નમુનાઓમાં સીરમ ક્રિએટીનીનનું લેવલ સતત વધતું હોવાનું સામે આવ્યું હતું, જે કિડની ડિસફંક્શનનું સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે.

વેટરિનરી ડોક્ટરો દ્વારા ‘આર્ય’ને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. તેને થેરાપી, લાઈફ સેવિંગ દવાઓ અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. તેમ છતાં, છેલ્લા આઠ દિવસથી તેણે ખોરાક લેવો બંધ કરી દીધો હતો, જેના કારણે તેની તબિયત વધુ ખરાબ થતી ગઈ.

અંતે તમામ પ્રયાસો છતાં ‘આર્ય’ને બચાવી શકાયો નહીં અને તેનું મોત નિપજ્યું. આ ઘટના બાદ પાર્કના સ્ટાફમાં ભારે દુઃખ અને શોક છવાઈ ગયો છે. ‘આર્ય’ માત્ર એક પ્રાણી નહીં, પરંતુ સ્ટાફ માટે પરિવારના સભ્ય જેવો બની ગયો હતો.

વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ પાર્કમાં રહેલા અન્ય પ્રાણીઓની તંદુરસ્તી અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે, જેથી આવી ઘટના ફરી ન બને. સુરતના પ્રાણીપ્રેમીઓ માટે ‘આર્ય’નું મોત એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.