તમિલનાડુમાં સ્ટાલીન અને બંગાળમાં મમતા મુખ્યમંત્રી પદ પર હોવા છતાં વિધાનસભા હાર્યા
આ અગાઉ આવો કિસ્સો 1996માં બન્યો હતો જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી જે. જયલલિતાનો પરાજય થયો હતો.
ચેન્નાઈ, 5 મે, 2026 : ચૂંટણીમાં મોટા પરાજય બાદ ડીએમકે (DMK) પ્રમુખ એમ.કે. સ્ટાલિને તમિલનાડુના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ અંગેની સત્તાવાર જાણકારી રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મોકલવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ડીએમકેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું પાછળ રહી ગયું હોવાનું સ્પષ્ટ થયા બાદ રાજીનામું રાજ્યપાલ કાર્યાલયને મોકલી દેવામાં આવ્યું હતું.
પરંપરા મુજબ, નવી સરકાર કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી રાજ્યપાલ સ્ટાલિનને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા વિનંતી કરે તેવી શક્યતા છે.
ડીએમકેના નેતૃત્વ હેઠળનું સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (SPA), જે મોટી અપેક્ષાઓ સાથે ચૂંટણીમાં ઉતર્યું હતું, તે 234 સભ્યોની વિધાનસભામાં માત્ર 73 બેઠકો મેળવી શક્યું છે. આ મોટો ઘટાડો ગઠબંધનને વિપક્ષમાં બેસવા માટે મજબૂર કરશે.
ડીએમકે પક્ષે પોતે 164 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી તે માત્ર 60 જેટલી બેઠકો જીતવામાં સફળ રહ્યો છે, જે તેના અગાઉના પ્રદર્શન કરતા મોટો ઘટાડો દર્શાવે છે.
આ પરાજયમાં વધુ આંચકો એ રહ્યો કે સ્ટાલિન પોતે તેમના ગઢ ગણાતા કોલાથુર મતવિસ્તારમાં હારી ગયા છે, જેનું તેઓ 2011 થી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેઓ તમિલગા વેત્રી કઝગમ (TVK) ના વી.એસ. બાબુ સામે હારી ગયા છે. આ સાથે તેઓ તમિલનાડુના એવા વિરલ મુખ્યમંત્રીઓમાંથી એક બન્યા છે જેઓ પદ પર હોવા છતાં વિધાનસભા ચૂંટણી હારી ગયા હોય. આ અગાઉ આવો કિસ્સો 1996માં બન્યો હતો જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી જે. જયલલિતાનો પરાજય થયો હતો.
વી.એસ. બાબુની આ જીત રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેઓ ભૂતકાળમાં ડીએમકે સાથે જોડાયેલા હતા. કોલાથુરમાં તેમની જીત તમિલનાડુના રાજકીય લેન્ડસ્કેપમાં બદલાતા જનમતને પ્રતિબિંબિત કરે છે.
ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે પરંતુ તે બહુમતીના આંકડાથી થોડી પાછળ છે.
હવે જ્યારે ચૂંટણી પછીની વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે સૌની નજર આગામી સરકારની રચના પર છે. દરમિયાન, સ્ટાલિન વિરોધ પક્ષના નેતા તરીકેની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. ડીએમકેએ તેની હારના કારણોની સમીક્ષા કરવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આંતરિક ચર્ચાઓ શરૂ કરી દીધી છે.
