ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ
અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. સુરક્ષાના ભાગરૂપે આજે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર એક ભવ્ય રિહર્સલ (મેગા મોક ડ્રીલ) નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સુરક્ષા રિહર્સલ દરમિયાન પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર અને તમામ ડેપ્યુટી પોલીસ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જાતે મેદાન પર હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સમગ્ર બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ સુરક્ષા રિહર્સલમાં 2000થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો જોડાયા હતા. નિશ્ચિત કરવામાં આવેલા પ્લાન મુજબ તમામ જવાનોને રૂટ પર તૈનાત કરીને કટોકટીના સમયે કેવી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવી તેનું જીવંત નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ રિહર્સલ જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી શરૂ કરીને રથયાત્રાના પરંપરાગત સમગ્ર રૂટ પર યોજાશે. રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે તમામ સંવેદનશીલ અને વ્યસ્ત માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવશે.
સ્થાનિક પોલીસની સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ જેવી કેન્દ્રીય અને રાજ્યની વિશેષ સુરક્ષા ટુકડીઓ પણ આ રિહર્સલમાં ભાગ લઈ રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
