રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્રને કોરોના પોઝિટિવ
નોઇડા: રક્ષા મંત્રી રાજનાથ સિંહના દીકરા અને નોઇડાથી બીજેપી ધારાસભ્ય પંકજ સિંહ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેઓએ જાતે ટિ્વટ કરીને આ વાતની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય જનતાની સાથે ઉત્તર પ્રદેશ સરકારના અનેક મંત્રી અને ધારાસભ્ય કોરોના સંક્રમણની ઝપટમાં આવી ચૂક્યા છે. યોગી સરકારના બે મંત્રી ચેતન ચૌહાણ અને કમલ રાની વરૂણના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે.
નોઇડાના ધારાસભ્ય પંકજ સિંહે ટિ્વટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, કોરોનાના પ્રારંભિક લક્ષણ દેખાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. તેઓએ જણાવ્યું કે ડૉક્ટર્સની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ છે. તેઓએ લોકોને અનુરોધ કર્યો કે જે પણ લોકો હાલમાં તેમના સંપર્કમાં આવ્યા છે, મહેરબારી કરી પોતાને આઇસોલેટ કરી તપાસ કરાવડાવે. બીજી તરફ, મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી જી.એસ. ધર્મેશનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોમ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
જી.એસ. ધર્મેશ યોગી સરકારમાં સમાજ કલ્યાણ રાજ્યમંત્રી છે. આ ઉપરાંત ધારાસભ્ય હેમલતા દિવાકર પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર ચાલુ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯થી વધુ ૫૭ લોકોના મોત થવાથી હોબાળો થઈ ગયો છે. બીજી તરફ, ૫૫૭૧ લોકો કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ પણ થઈ છે.