કોરોના ટેસ્ટ નહીં કરાવતા કતારગામના ત્રણ યુનિટ બંધ
સુરત: ડાયમંડ યુનિટોમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો અમલ કરવામાં ઉદાસિનતા બદલ બુધવારે શહેરના કતારગામ સ્થિત પ્રાન્સ જેમ્સ, લક્ષ્મી એક્ષ્પોર્ટ, રાજેશ ગાબાણીનું કારખાનું બંધ કરાવવામાં આવ્યું છે. ત્રણેય યુનિટોમાં એસઓપી અંતર્ગત એન્ટિજેન ટેસ્ટ રત્નકલાકારોનો કરાવવામાં આવ્યો ન હતો. રાજેશ ગાબાણીના કારખાનામાં વેન્ટિલેશનનો પણ અભાવ હતો અને ઘંટી પર બે કરતાં વધુ કારીગરો કાર્યરત હતા. વિવિધ ડાયમંડ યુનિટોમાં મનપાની એસઓપીનો કડક અમલ થઇ શકે તે માટે ગઠિત સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલા પેકિંગ કતારગામ બંબાવાડી સ્થિત પ્રાન્સ જેમ્સ (ત્રીજા માળ), લક્ષ્મી એક્ષ્પોર્ટ (ત્રીજા માળ), રાજેશ ગાબાણીના હીરાકારખાના (બીજા માળ)માં લેસર મશીનો અને ઘંટીઓ પર કામ કરતાં રત્નકલાકારોનો રેપીડ એન્ટિજેન ટેસ્ટ કરાવ્યો ન હોવાનું ધ્યાને આવ્યું હતું.
એક યુનિટમાં એક ઘંટી પર બેથી વધુ કારીગરોને બેસાડાયા હતા. આ ત્રણેય યુનિટો સર્વેલન્સ ટીમે બંધ કરાવ્યા છે જ્યારે એસ. કે. ડાયમંડ નામક યુનિટમાં એસઓપીનું સંપૂર્ણ પાલન કરાયું હોવાનું ધ્યાને પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી હીરા માર્કેટમાં કોરોના સંક્રમણ ઘટાડવા જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે તેનાથી ઘણો ફરક દેખાય રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી કતારગામ અને વરાછા વિસ્તારમાં રત્નકલાકારોમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. જેથી જ હવે રત્નકલાકારોમાં ફરી કોરોના સંક્રમણ ન ફેલાય અને હીરા ઉદ્યોગ ફરી રાબેતા મુજબ શરૂ થાય તે માટે ખાસ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે.
આ ગાઇડલાઇન્સનો અમલ બે ઘંટીવાળો હીરાવેપારી હોય કે પછી પાંચ હજારથી પણ વધુ ઘંટી ધરાવતો મોટો વેપારી હોય તમામ માટે ફરજિયાત છે. હીરાના કારખાનાઓમાં એસઓપીનું યોગ્ય રીતે પાલન થાય તે માટે મનપા દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. જે આકસ્મિક રીતે હીરા કારખાનાઓમાં જઈ તેનું ચેકિંગ કરતું રહે છે. આજ પહેલાં પણ ત્રણ જેટલા હીરા કારખાના મનપા દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા.