Western Times News

Gujarati News

મુખ્ય બંદરોને હવે ફક્ત ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટનો જ  ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો

શિપિંગ મંત્રાલયે તમામ મુખ્ય બંદરોને ફક્ત ભારતમાં બનાવેલી ટગ બોટ ખરીદવા અથવા ભાડે લેવા માટે નિર્દેશ આપ્યા છે. મુખ્ય બંદરો દ્વારા કરવામાં આવતી તમામ ખરીદી હવે સુધારેલા ‘મેક ઈન ઈન્ડિયા’ આદેશ મુજબ કરવાની રહેશે.

જહાજ મંત્રાલય ભારતીય જહાજ નિર્માણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું પર ધ્યાન આપી રહ્યું છે તેમજ જહાજ નિર્માણ ઉદ્યોગમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અગ્રણી દેશો સાથે ચર્ચા પણ કરી રહ્યું છે. આ દરમિયાન, સરકારના આ નિર્ણયને જહાજ નિર્માણ ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયાને સાકાર કરવા તરફનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારતમાં જૂના શિપયાર્ડ્સને પુનર્જીવિત કરવા અને જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે સરકાર ૩૬૦ ડિગ્રી કાર્યવાહી કરી રહી છે. ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરી ‘આત્મનિર્ભર ભારતમાં આત્મનિર્ભર શિપિંગ’ને સાર્થક કરવા તરફનું આ એક મોટું પગલું છે. સરકાર ભારતમાં શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ, શિપ રિસાયક્લિંગ અને ફ્લેગિંગ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરશે. આત્મનિર્ભર શિપિંગ આગામી સમયમાં વાસ્તવિકતા બનશે.”

ભારતમાં જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા બંદર પર વપરાતા સાધનોને વસાવવા/ ભાડે કરવા સુધારેલા મેક ઇન ઇન્ડિયા આદેશનું પાલન કરવાનું રહેશે.  ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટરના નેતૃત્વમાં એક સ્ટેન્ડિંગ સ્પેસિફિકેશન કમિટીની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેમાં કોચિન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ), શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસસીઆઈ), ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (આઇઆરએસ) અને શિપિંગ ડાયરેક્ટર જનરલનો સમાવેશ થાય છે.

સ્ટેન્ડિંગ સ્પેસિફિકેશન કમિટી લગભગ પાંચ અલગ પ્રકારના ટગ નિર્ધારિત કરશે અને ‘મંજૂર માનક ટગ ડિઝાઇન અને વિશિષ્ટતાઓ’ (એએસટીડીએસ) તૈયાર કરશે. આ એએસટીડીએસ સ્પષ્ટીકરણો, સામાન્ય વ્યવસ્થાઓ, મૂળભૂત ગણતરીઓ, મૂળભૂત માળખાકીય રેખાંકનો, કી સિસ્ટમ ડ્રોઇંગ્સ અને અન્ય બાંધકામ ધોરણો વગેરેની રૂપરેખા આપશે. આ ધોરણો સ્ટેન્ડિંગ સ્પેસિફિકેશન કમિટી દ્વારા તપાસવામાં આવશે અને ત્યારબાદ આઇઆરએસ દ્વારા ‘ઇન-પ્રિન્સીપલ પ્રમાણિત કરવામાં આવશે અને ઇન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા મુખ્ય બંદરોને કેટલોક સમય પણ અપાશે જેથી બાંધકામના સમયનો લાભ મળી શકે. તાજેતરમાં,સરકારની માલિકીની કોચિન શિપયાર્ડ લિમિટેડ પણ નોર્વે સરકારના તરફથી બે સ્વચાલિત જહાજો માટેના ઓર્ડર મેળવવામાં સફળ રહી છે. જે આ પ્રકારના પહેલા માનવરહિત જહાજ હશે. જહાજ મંત્રાલયે લીધેલા વિવિધ નિર્ણયોને કારણે નજીકના ભવિષ્યમાં જહાજ નિર્માણ ક્ષેત્રની કાયાપલટ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.