નટુકાકાની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા એટલે કે એક્ટર ઘનશ્યામ નાયકની તબિયત સારી નથી. જેના કારણે તેઓ આગામી થોડા સમય સુધી સીરિયલમાં જોવા નહીં મળે. અગાઉ મહારાષ્ટ્ર સરકારે ૬૫ વર્ષથી વધુના એક્ટર્સના શૂટિંગ કરવા પર રોક લગાવી હતી, જેના કારણે ઘનશ્યામ નાયક લોકડાઉન પછી ‘તારક મહેતાનું શૂટિંગ શરૂ નહોતા કરી શક્યા. જો કે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની આ ગાઈડલાઈન્સ ફગાવી હતી અને ૬૫ વર્ષથી વધુના એક્ટર્સને શૂટિંગ માટે મંજૂરી આપી હતી.
આ બાબતથી ‘નટુકાકા‘ ખૂબ ખુશ હતા અને શૂટિંગ શરૂ કરવા ઉત્સાહિત હતા. પરંતુ હવે સેટ પર પરત ફરવા માટે તેમણે થોડી વધુ રાહ જોવી પડશે. હાલમાં જ પીઢ અભિનેતા ઘનશ્યામ નાયકે ગળાની ગ્રંથિઓમાં બેચેની અનુવાતી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ ડૉક્ટરોએ રવિવારે તેમની સર્જરી કરવાનો ર્નિણય લીધો છે. પ્રોડક્શન હાઉસની નજીકના સૂત્રોએ જણાવ્યું, થોડા દિવસ પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં ડૉક્ટરોને ગઠ્ઠો દેખાયો હતો જે બાદ તેમણે સર્જરી કરાવવાની સલાહ આપી હતી.
જો કે, તેઓ જલદી જ સાજા થઈ જશે અને શોમાં પરત આવશે. સીરિયલમાં નટુકાકાનું પાત્ર ખૂબ રસપ્રદ છે અને દર્શકો તેમને જોવાનું પસંદ કરે છે. તેઓ સિનિયર કલાકાર છે અને તેમનો કોમિક ટાઈમિંગ લોકોને પસંદ છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે ૬૫ વર્ષના એક્ટર્સને શૂટિંગ કરવાથી રોક્યા હતા ત્યારે પણ નટુકાકાએ શૂટિંગ કરવાની ઈચ્છા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ વર્ષથી ઘનશ્યામ નાયક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલા છે. સૂત્રએ આગળ જણાવ્યું, “પ્રોડક્શન હાઉસ વરિષ્ઠ એક્ટરને બનતી તમામ મદદ કરી રહ્યું છે પરંતુ તેઓને શોમાં પાછા ફરતા થોડો સમય લાગશે.