શહેરમાં રામોલ, વટવા, પાલડી વિસ્તારમાં ચોરીનાં બનાવો
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં રામોલ, વટવા અને પાલડી વિસ્તારમાં ચોરીની ફરીયાદ નોંધાઈ છે. જેમાં આશરે કુલ અગિયાર લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા છે. રામોલમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે, રમીલાબેન પ્રજાપતિ તેમનાં પુત્ર સાથે રવિવારે સવારે દસ વાગ્યે વસ્ત્રાલ આરટીઓની બાજુમાંથી રીક્ષામાં બેઠા હતા. જેમાં અગાઉથી ત્રણ ઈસમો બેઠા હતા. રમીલાબેન સવા દસનાં સુમારે વસ્ત્રાલનાં ગોપી ડેરી સામે આવેલાં ઢાળ પર ઉતર્યા હતા. અને ઘરે આવી સામાન તપાસતાં રૂપિયા દસ લાખની કિંમતનાં સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી ગાયબ હતી.
આ અંગે તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. વટવા વિસ્તારમાં આવેલાં સવિતાનગરમાં રહેતાં રેનુબેને ફરીયાદ નોંધાવી છે કે કેટલાંક દિવસ અગાઉ પોતે બહાર ગયા હતા એ વખતે ઘરમાં ત્રાટકી ચોરોએ રૂપિયા ૧.૦૮ લાખનાં દાગીનાં ચોરી લીધા હતા.
પાલડીમાં પણ ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધાઈ છે. વનલીલાબેન મહેતા વિશ્વ એપાર્ટમેન્ટ, પાલડી ખાતે રહે છે. રવિવારે તે પોતાનાં ભાણેજનાં ઘરે સુવા ગયા હતા એ દરમિયાન ચોરો-તેમનાં ઘરમાં ઘુસી ૧૫ હજારની કિંમતનાં દાગીના તથા ૪૦ હજારની રોકડ ચોરી ગયા હતા.