આવતીકાલે રાફેલ એરફોર્સમાં સામેલ થશે
અંબાલામાં મેગા શોનું આયોજન
બોર્ડર પર ચીન સાથેના ઘર્ષણ વચ્ચે ભારતને 10 સપ્ટેમ્બરે ફાઈટર જેટ રાફેલની શક્તિ મળવા જઈ રહી છે. રાફેલ આવતીકાલે અંબાલા એરફોર્સ સ્ટેશનમાં એક મેગા શો સમારોહમાં ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ થઈ જશે. રાફેલ વાયુ સેનાની 17મી સ્ક્વાડ્રન ‘ગોલ્ડન એરોજ’નો ભાગ બનશે.આ સમારોહમાં ભાગ લેવા માટે ઘણી મોટી હસ્તીઓ અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચી રહી છે.
આ સમારોહમાં CDS બિપિન રાવત, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા, રક્ષા સચિવ ડો અજય કુમાર, રક્ષા વિભાગના સચિવ ડો.જી સતીશ રેડ્ડી અને DRDOના ચેરમેન પણ સામેલ થશે. આ ઉપરાંત રક્ષા મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ અહીંયા હાજર રહેશે.
27 જુલાઈ 2020ના રોજ ફ્રાન્સથી આવેલા 5 રાફેલ ફાઈટર જેટ વાયુસેનાની 17મી સ્ક્વોડ્રન ‘ગોલ્ડન એરોજ’નો હિસ્સો બનશે. આ અવસરે ફ્રાન્સના ડિફેન્સ સેક્ટરનું એક મોટું પ્રિતિનિધિમંડળ ભારત આવી રહ્યું છે. જેમાં દસોલ્ટ એવિએશનના ચેરમેન એરિક ટ્રેપિયર, દસોલ્ટ એવિએશનના CEO એરિક બરનેન્ગર સામેલ છે.
અંબાલા એરફોર્સ સ્ટેશનમાં રાફેલને વાયુસેનામાં સામેલ કરતા રહેલા પારંપરિક રીતે સર્વ ધર્મ પૂજા કરવામાં આવશે, ત્યારપછી રાફેલ ફાઈટર જેટ, તેજસ એરક્રાફ્ટ અને સારંગ એરોબેટિક ટીમ આકાશમાં ઉડાન ભરશે અને અદભૂત ડિસ્પલે રજુ કરશે.