સુરેન્દ્રનગર શહેરમાંથી ૩૮૪ કટ્ટા ઘઉં, અને ૨૪૦ કટ્ટા ચોખાનો શંકાસ્પદ જથ્થો પકડાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં પતરા વાળી ચોક પાસે સીટી મામલતદારની ટીમે ૩૮૪ કટા ( ૧૯,૨૦૦ કિલો ) ઘઉં અને ૨૪૦ કટ્ટા ( ૧૨,૦૦૦ કિલો ) ચોખા ભરેલી આઈશર પકડી લીધી હતી . જીસીઆઈએલના માર્કાવાળા કટ્ટા જપ્ત કરી અનાજનો જથ્થો ક્યાંથી વગે કરાતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ જથ્થો સરકારે ખેડૂતો પાસેથી ખરીદેલા ટેકાના ભાવના ઘઉં હોવાની લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ હતી. જિલ્લામાં આ વર્ષે ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન થયું છે.
આથી સરકાર દ્વારા જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં કેન્દ્ર ખોલીને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી હતી. આ દરમિયાન સિટી મામલતદાર એન.એચ.પરમાર દ્વારા પોતાની ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચોક્કસ બાતમીના આધારે પતરાવાળી હોટલ પાસે ચોકમાંથી પસાર થતી આઈસર ગાડીમાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો છે. આથી મામલતદારની ટીમે આઈસરને રોકી તપાસ કરતા જેમાં ૩૮૪ કટા ઘઉંના અને ૨૪૦ કટા ચોખાના મળી આવ્યા હતા. આ અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઈવર યોગ્ય જવાબ આપી શકયો ન હતો કે તેની પાસે જરૂરી કાગળો પણ ન હતા. આથી તમામ ઝડપી પાડેલો જથ્થો સિઝ કરી દેવામાં આવ્યો હતો.