મોદી વાન દુર દુરના અંતરીયાળ ગામના લોકોને રસી લેવા સમજાવશે
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ હેઠળ ‘મોદી વાન’ને લીલીઝંડી આપી છે. પીએમ મોદીના સરકારમાં 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપે આ મિશનરી શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓકટોબર, 2001નાં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા.
મહત્વનું છે કે, આ વિશેષ વાનને કૌશાંબી વિકાસ પરિષદથી સંચાલિત કરવામાં આવશે જેને ભાજપના રાષ્ટ્રીય સચિવ વિનોદ સોનકર ચલાવી રહ્યા છે. યુપીના કૌશાંબી જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારોમાં પાંચ મોદી વાનનું સંચાલન થશે.
વાનમાં 32 ઇંચનું ટીવી અને એક ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે. જેમાં પીએમનું મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ થશે. ઉપરાંત જનસભાઓ તેમજ નેતાઓના ભાષણો પણ પ્રસારીત કરવામાં આવશે. વાનમાં ટેલીમેડિસિન પણ સામેલ છે.
તેના સાપ્તાહિક મેડીકલ બુલેટીન પણ પ્રસારીત થશે તેમજ વાન ગામ લોકોને સ્વચ્છતા તથા પ્લાસ્ટીક મુકત થવાની શપથ લેવડાવશે. આ સિવાય તે જળ સંરક્ષણ અને નદી-તળાવની સફાઇ માટે પણ લોકોને જાગૃત કરશે.
મોદી વાન દુર દુરના અંતરીયાળ ગામના લોકોને રસી લેવા સમજાવશે તેમજ સરકારી યોજના વિશે માહિતી આપી લોકોને તેનો લાભ આપવામાં મદદરૂપ થશે. આ વાન વિધવા પેન્શન, દિવ્યાંગોનું પેન્શન તેમજ પીએમ ખેડુતનિધિ હેઠળ રજિસ્ટ્રેશનમાં પણ મદદરૂપ થશે.