મહારાષ્ટ્રમાં રાજ્યમાં વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલા ૫૫ વૃદ્ધો કોરોના સંક્રમિત
મુંબઇ, કોરોનાના નવા વેરિએન્ટ અંગેની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રથી એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ હવે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધેલા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરની ઘટના થાણેના વૃદ્ધાશ્રમની છે જ્યાં ૫૫ વડીલો કોરોનાનો શિકાર બન્યા છે.
ચિંતાની વાત એ છે કે, તે તમામ વૃદ્ધોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હતા. આ ૫૫ લોકો સિવાય અન્ય ૭ લોકો પણ કોરોનાનો શિકાર બન્યા છે જેમાં એક ૧.૫ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. કોરોનાનો શિકાર બનેલા સૌની નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કોરોનાના સંક્રમણનો ભોગ બનેલા સૌના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. વાયરસને આગળ ફેલાતો અટકાવાઈ રહ્યો છે અને પ્રશાસન અનેક સ્થાનિક લોકોનો કોવિડ ટેસ્ટ કરે તેવા પણ સમાચાર છે.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા લોકોમાંથી ૪૧ દર્દીઓ એવા છે જેમને પહેલેથી જ કેટલીક બીમારીઓ છે. જ્યારે ૩૦ લોકો એવા છે જેમને કોરોના થયો છે પંરતુ કોઈ જ લક્ષણો નથી દેખાઈ રહ્યા. મહારાષ્ટ્રના કોરોના મીટરની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૨ નવા દર્દીઓ સામે આવ્યા છે અને ૩૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.HS