મુંબઈથી ગોવા જઈ રહેલી શિપનો સ્ટાફ કોરોના સંક્રમિત
મુંબઈ, મુંબઈથી ગોવા જતી એક શિપમાં 2000 મુસાફરો ફસાઈ ગયા છે. તેમને સ્થાનિક અધિકારીઓએ કોસ્ટ પર ઉતરવાની પરવાનગી આપી નથી. આ જહાજનો ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના બાદ તમામ મુસાફરોને જહાજમાં જ રોકી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કોર્ડેલિયા ક્રૂઝ એમ્પ્રેસ જહાજમાં સવાર તમામ યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમના આરટીપીસીઆર ટેસ્ટની રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને શિપમાંથી ઉતરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
પોર્ટ ટ્રસ્ટના એક અધિકારી મુજબ, ‘જહાજને સમુદ્ર કિનારાથી દૂર રોકવામાં આવ્યું છે. જોકે, આ ક્રૂઝના તમામ મુસાફરોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તો પણ એક ક્રૂ મેમ્બર સંક્રમિત થતાં સાવચેતીના ભાગરૂપે બધાનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે. અધિકારીઓને આ અંગે સૂચિત કરવામાં આવ્યા છે.’
વોસ્કોના સાલગાંવકર મેડિકલ રિસર્ચ સેન્ટર (SMRC)માં આ મુસાફરોનો કોરોના ટેસ્ટ ચાલુ છે. હોસ્પિટલથી જોડાયેલા પેથોલોજિસ્ટ ડોક્ટર યુજીન ડિસુઝાએ જણાવ્યું કે પ્રવાસીઓના સેમ્પલ લેવાની પ્રક્રિયા રવિવાર રાત્રે 9:30 વાગ્યાથી શરુ થઈ હતી, જે આખી રાત ચાલી. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેનું આ અંગે કહેવું છે કે, ‘હાલમાં દરરોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટથી લગભગ 4,000 પર્યટકો ગોવામાં ઉતરી રહ્યા છે.
આ ફ્લાઈટ્સમાં કેટલાક પ્રવાસીઓ કોરોના સંક્રમિત પણ મળી રહ્યા છે. એટલે જોખમ ન લઈ શકીએ. અમારે કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવું પડશે.’