ચૂંટણી નિર્ધારિત સમયે, વેક્સિનેશનની ગતિ વધારો
નવી દિલ્હી, ભારતના ચૂંટણી પંચે ચૂંટણીવાળા ૫ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિડ-૧૯ વેક્સિનેશનની ગતીને તેજ કરવા માટે કહ્યું છે. ચૂંટણી પંચે મણિપુરમાં પહેલા ડોઝની ઓછી ટકાવારીને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી. ભારતીય ચૂંટણી પંચે સોમવારે ચૂંટણીવાળા ૫ રાજ્યોને પત્ર લખ્યો હતો.
ચૂંટણીવાળા રાજ્યોની તૈયારીની આકારણી કરવા માટે ચૂંટણી પંચે તાજેતરમાં જ પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની મુલાકાત પણ લીધી હતી. જાણવા મળ્યા મુજબ ચૂંટણી પેનલ જાન્યુઆરી ૨૦૨૨માં જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ મે ૨૦૨૨માં સમાપ્ત થઈ રહ્યો છે.
જ્યારે અન્ય ૪ રાજ્યોની વિધાનસભાઓની અવધિ માર્ચ ૨૦૨૨માં અલગ અલગ તારીખે સમાપ્ત થઈ રહી છે. કોવિડ-૧૯ના કેસમાં વૃદ્ધિ છતાં ૫ રાજ્યોની ચૂંટણીઓ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ થાય તેવી આશા છે. રાજકીય દળો સંબંધીત રાજ્યમાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. રેલીઓ અને જનસભાઓમાં કોરોના વાયરસ સંક્રમણ વધવાની આશંકા છતાં ભારે ભીડ જાેવા મળી રહી છે.
અનેક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ સરકાર અને ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણી ટાળવા માટે સલાહ આપી છે. ડિસેમ્બર ૨૦૨૧માં મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈસી) સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે, તમામ રાજકીય દળો ઈચ્છે છે કે, રાજ્ય વિધાનસભા ચૂંટણી સમયસર યોજાય. ચંદ્રાએ આશ્વાસન આપ્યું હતું કે, પોલ પેનલ એ સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ ઉપયુક્ત વ્યવહાર જાળવી રાખવામાં આવે તથા મતદાનની જાહેરાત બાદ મતદાન કરવામાં આવે.SSS