દેશમાં ચોથી લહેર શરુ થઇ નથીઃ કોરોનાના કેસોમાં વધારો માત્ર જિલ્લા સ્તરે જોવા મળી રહ્યો : ICMR
નવી દિલ્હી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એડિશનલ ડાયરેક્ટર સમીરન પાંડાએ રવિવારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતમાં કોરોનાના કેસોમાં જોવા મળેલા વધારાને મહામારીની ચોથી લહેર ગણાવી શકાય નહીં.
પત્રકારો સાથેની વાતચીતમાં પાંડાએ જણાવ્યું હતું કે કોરોના કેસોમાં વધારો જિલ્લા સ્તરે જોવા મળ્યો છે તેથી એમ કહી શકાય નહીં કે દેશ ચોથી લહેરની તરફ આગળ વધી રહ્યું છે.
સમીરન પાંડાએ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે કોરોનાના કેસોમાં કેટલોક ઉછાળો જોવા મળ્યો છ જેને બ્લિપ કહી શકાય તેમ છે. આ બ્લિપ દેશના કેટલાક ભૌૈગોલિક ક્ષેત્રો સુધી જ મર્યાદિત છે. કોરોના કેસોમાં વર્તમાન ઉછાળાને ચોથી લહેરના સંકેત ગણાવી શકાય નહીં.
સમીરન પાંડાએ કોરોનાની ચોથી લહેર શરૃ થઇ ન હોવા અંગે ચાર કારણો રજૂ કર્યા છે. પ્રથમ કારણ એ છે કેઉછાળો સ્થાનિક સ્તરે જોવા મળ્યો છે. કોરોના કેસોમાં આ ઉછાળો પરીક્ષણના પ્રમાણને કારણે છે.
બીજું કારણ એ છે કે આપણે જે ઉછાળો જોઇ રહ્યાં છે તે એક બ્લિપ છે. ત્રીજુ કારણ એ છે કે દેશની હોસ્પિટલોમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓની સંખ્યા વધી નથી. ચોથું અને સૌથી મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે નવું વેરિઅન્ટ મળ્યું નથી.