ઝઘડિયાના અવિધા ગામે લોકોને ઈજાગ્રસ્ત કરી આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો
ઝઘડિયા વનવિભાગ તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ૨૪ કલાકની જહેમત બાદ કપિરાજને પાંજરે પુરવામાં સફળતા મળી.
(વિરલ રાણા) ભરૂચ,ઝઘડિયા તાલુકાના અવિધા ગામે થોડા દિવસોથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો.આ વાનર દ્વારા ગત રોજ અવિધા ગામના પાંચથી વધુ લોકોને બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.આતંકે ચડેલા કપિરાજ દ્વારા રસ્તામાં ચાલતાં લોકોને ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કરવામાં આવતાં હતા.
કપિરાજના આતંકથી અવિધા ગામના લોકોએ ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.તો પાંચથી વધુ લોકોને કપિરાજ દ્વારા બચકા ભરી ઈજાઓ પહોંચાડવામાં આવતાં તે લોકોને અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.જે બાદ સ્થાનિકો દ્વારા ઝઘડિયા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઝઘડિયા વનવિભાગની ટીમ તેમજ ઝઘડીયા ફાયર ફાઈટરની ટીમ દ્વારા ગત રોજ સાંજે આતંક મચાવનાર કપિરાજને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને ચોવીસ કલાકની ભારે જહેમત બાદ આખરે આતંક મચાવનાર કપિરાજને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.કપિરાજના આતંકથી અવિધા ગામના લોકોને છુટકારો મળતાં વનવિભાગ તેમજ ફાયર ફાયટરની ટીમનો આભાર માન્યો હતો.
ચોવીસ કલાકની ભારે જહેમત બાદ પાંજરે પુરાયેલા કપિરાજને ઝઘડિયા વન વિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા વન્ય વિસ્તારમાં છોડી મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું.