કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજાશે
જેતપુર, જેતપુર પંથકના કાગવડ ગામ ખાતે લેઉવા પટેલ સમાજના આસ્થાનાં પ્રતીકસમું મા ખોડલનું ભવ્યાતિભવ્ય ધામ ખોડલધામ મંદીર આવેલું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે ૧૩ માં વર્ષે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આસો માસના પ્રથમ નોરતાના દિવસે તા.૧પ-૧૦ ને રવીવારના રોજ કાગવડ ગામથી ખોડલધામ સુધીનો રૂટ તૈયાર કરાયો છે. જયારે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ સમસ્ત કાગવડ ગામને રંગોળી, તોરણ, સાથીયાથી સજાવટ કરવામાં આવશે.
જેતપુરનાં કાગવડ ગામે સવારના ૭ કલાકે ખોડલધામ રથમાં બિરાજમાન મા ખોડલની મહાઆરતી કર્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં હજારો પદયાત્રીઓ ખોડલધામ મંદીર તરફ ડગ માંડી પદયાત્રા શરૂ કરાશે પદયાત્રીઓને રસ્તાઓમાં વિવિધ કમીટીઓ સ્વયંસેવકો દ્વારા નાસ્તઓ તેમજ અલગઅલગ પ્રકારે સ્વાગત કરવામાં આવશે
જયારે પદયાત્રીઓનો વિશાળ સમુહ ખોડલધામ કાગવડ પહોચશે ત્યાં મા ખોડલની મહાઆરતી ધ્વજા રોહણ તેમજ નવદીવસ સુધી મહાયજ્ઞ યોજાશે. નવરાત્રીના દિવસથી ખોડલધામ મંદીરમાં સવારની આરતીનો સમય ૬ વાગે તેમજ સાંજના ૬.૩૦ વાગે થશે. દરરોજની ચાર ધ્વજા માતાજીના શીખર ઉપર ચડાવવામાં આવશે.
ઉપરાંત નવરાત્રીના નવ દિવસ સુધી મા ખોડલના આબેહુબ શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રધ્ધાળુઓ આરાધાન કરશે તેમજ ખોડલધામ મંદીરનાં સંપૂર્ણ પરીસરમાં ઝગમગાટ રોશનીથી શણગારવામાં આવશે.