Western Times News

Gujarati News

દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભરૂચમાં વિધ્નહર્તાની વિદાય

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર જીલ્લામાં ભક્તજનોએ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને દસ દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હ્રદયે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલદી આના ના નારાઓ સાથે વિદાય આપી હતી.

ભરૂચ નગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ કૃત્રિમ જળકુંડમાં ચુંનદા તરવૈયાના સથવારે વિસર્જનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.તો બીજી તરફ ઘણા ભકતોએ વિઘ્‌નહર્તાના આશીર્વાદ હંમેશા રહે તેવા ભાવથી પોતાના ઘરે જ શ્રીજીનું વિસર્જન કરી શ્રીજી મહોત્સવનું સમાપન કર્યું હતું.

ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજનીય ગણેશજીનું સ્થાપન કરી દસ દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થઈ અનંત ચતુર્થીના દિવસે શ્રધ્ધાભર્યા માહોલમાં આવતા વર્ષે પુનઃ પધારવાના વચન સાથે રડતા હૈયે ભક્તોએ વિદાય આપી હતી.તો બીજી તરફ કોર્ટની ગાઈડલાઈન હેઠળ ગણેશ વિસર્જન માટે નર્મદા નદી કાંઠે નિલકંઠ મહાદેવ ઘાટ ગણેશ વિસર્જન માટે બંધ રાખવામાં આવ્યો હોય

નગરપાલિકા દ્વારા ભરૂચના મકતમપુર બોરભાઠા,જે.બી.મોદી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે ત્રણ કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા.જ્યાં સવારથીજ ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી રહ્યા હતા.કૃત્રિમ જળ કુંડ ખાતે તંત્ર દ્વારા વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન ભક્તજનોને અગવડના પડે તેમ જ કોઈ હોનારત ન સર્જાય તરવૈયાઓ,પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તહેનાત કરી દેવામાં આવી હતી.

કુત્રિમ કુંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત અન્ય સભ્યો તેમજ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભક્તો કુત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરવા અપીલ કરી વિસર્જન બાદની તંત્રની કામગીરી પણ વર્ણવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.