Western Times News

Gujarati News

હિઝબુલ્લાહે કર્યું યુદ્ધનું એલાન, સમગ્ર વિશ્વ ચિંતિત

બૈરુત, લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે. તેના પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેણે જણાવ્યું હતું કે ઇઝરાયેલે લક્ષ્મણરેખા વટાવી દીધી છે.

હવે આ યુદ્ધ ફક્ત ઇઝરાયેલ અને લેબનોનની સરહદ પૂરતું જ સીમિત રહ્યું નથી, પરંતુ બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે.

ઇઝરાયેલ હીઝબુલ્લાહના વળતા હુમલાનો સામનો કરવા તૈયાર રહે. નસરલ્લાહે જણાવ્યું હતું કે અમે સ્વીકાર્યુ છે કે આ હુમલાથી અમને જબરદસ્ત ફટકો પડયો છે. અમે તેની તપાસ પણ કરી રહ્યા છીએ. પણ અમે તેનો વળતો જવાબ આપીશું તેના નિવેદનનો પડઘો પાડતાં હોય તેમ હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર વળતો પ્રહાર કરતાં મોટાપાયા પર રોકેટમારો કર્યાે હતો.

આ ઉપરાંત તેણે ઇઝરાયેલના લશ્કરી સ્થળોને લક્ષ્યાંક બનાવીને ડ્રોન હુમલો કર્યાે હતો. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલના દસ હજારથી વિસ્થાપિતો ક્યારેય તેમના ઘરે પરત નહીં ફરી શકે.

ગાઝામાં જે રીતે લોકો વિસ્થાપિત થયા છે તે રીતે ઇઝરાયેલના લોકોને પણ અમે વિસ્થાપિત કરીશું.ઇલેકટ્રોનિક બ્લાસ્ટ પછી હીઝબુલ્લાહે કરેલા હુમલામાં ઇઝરાયેલના બે સૈનિકોના મોત થયા છે. તેના લીધે ઇઝરાયેલે પણ સ્વીકાર્યુ છે કે હવે યુદ્ધનો વ્યાપ વિસ્તરી શકે છે અને તેણે વ્યાપક સ્તરે લશ્કરી કાર્યવાહી કરવી પડી શકે છે.

ઇઝરાયેલ લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરી હીઝબુલ્લાહના ૪૦ આતંકવાદીઓને ઠાર કર્યા અને પાંચ હજારથી વધુને ઇજાગ્રસ્ત કરી દીધા છે. આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો છે કે આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ ઇઝરાયેલની સાઇબર જાળમાં ફસાઈ ગયું. હીઝબુલ્લાજે જે પેજર ખરીદ્યા તે તાઇવાનની એપોલો ગોલ્ડ કંપનીના ન હતા. તેને મોસાદના અધિકારીઓએ હંગેરીમાં તે જ કંપનીમાં બનાવ્યા હતા જેને હીઝબુલ્લાહ તાઇવાનીઝ કંપની સમજતું હતું. હીઝબુલ્લાહને છેતરવા આ શેલ કંપની બનાવાઈ હતી.

મોસાદે શેલ કંપનીઓ બાબતે જરા પણ શંકા ન જાય તેને લઈને આ પ્રકારની કંપનીઓનું જાળું ઊભું કર્યુ હતું. મોસાદે આ માટે વર્ષાે પહેલાં જ આયોજન કરી દીધું હતું. ૨૦૨૨ના વર્ષથી જ હીઝબુલ્લાહ મોસાદની આ કંપની પાસેથી પેજર ખરીદતું હતું.

મોસાદે સમજીવિચારીને રચી કાઢેલા કાવતરામાં હીઝબુલ્લાહ માટે બનાવવામાં આવેલા પેજરમાં વિસ્ફોટક પીઇટીએન નાખી દીધા હતા. તેના પછી હીઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે પોતાના આતંકવાદીઓને મોબાઇલ ફોનનો ઉપયોગ બંધ કરવાનું જણાવ્યું અને તેના પગલે મોસાદની કંપનીને વધારે પેજર બનાવવાના ઓર્ડર મળ્યા.

આ રીતે હીઝબુલ્લાહના આતંકવાદીઓ સુધી હજારો પેજરો પહોંચ્યા, જેના પછી ઇઝરાયેલે તેમના પર હુમલો કર્યાે.આ વિસ્ફોટમાં સંડોવાયેલી કંપની નથી તાઇવાનની કે નથી હંગેરીની કંપની. આ કંપની ઇઝરાયેલની શેલ કંપની છે. કોઈ એકાદ કંપની હોય તો શક થાય, તેથી ઇઝરાયેલી આવી બેથી ત્રણ કંપની બનાવી હતી.

પેજર પછી વોકીટોકીના બ્લાસ્ટની વાત આવે તો તેને બનાવનાર જાપાનીઝ કંપની આઇકોમે આ ઘટના સાથે છેડો ફાડતા સ્પષ્ટ જણાવી દીધું છે કે તેણે તેનું ઉત્પાદન દસ વર્ષ પહેલાં જ બંધ કરી દીધું હતું. તેણે વોકીટોકીના આ સેટ બનાવવાનું દસ વર્ષ પહેલાં જ બંધ કરી દીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.