હવે ઈન્કમ ટેક્સના અધિકારીઓ તમારા ઇ-મેઇલ જોઈ શકશે

નવી દિલ્હી, આવકવેરા અધિકારી હવેથી તમારા ઇ-મેઇલ એકાઉન્ટ, સોશિયલ મિડીયા એકાઉન્ટમાં પણ પ્રવેશી શકશે. આવકવેરાના નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આવકવેરા અધિકારીને આ સત્તા મળી રહી છે. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવો કાયદો અમલી બનશે.
ત્યારબાદ આવકવેરા અધિકારી ઈચ્છે તેના ઈ-મેઈલ એકાઉન્ટ, વોટ્સએપ એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિ્વટર એકાઉન્ટની ચકાસણી કરી શકશે.
ભારત ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યું છે. આ સ્થિતિમાં આવકવેરાની ચકાસણી કે તપાસ પણ ડિજિટલ યુગની બરોબરી કરી શકે તેવી હોવી જોઈએ તેવી ગણતરી સાથે આ જોગવાઈ કરવામાં આવી છે.
પહેલી એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવનારા નવા ઈન્કમટેક્સ એક્ટ હેઠળની કલમ ૨૪૭માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ આવકવેરા ખાતાને કરદાતાના સોશિયલ મિડીયા એકાઉન્ટની ચકાસણી કે તપાસ કરવાના અધિકાર મળશે. આવકવેરા અધિકારી કરદાતાના પ્રોફાઈલની, ઇ-મેઈલની, બેન્ક એકાઉન્ટ, ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટની ચકાસણી કરી શકશે.
આ ચકાસણી પછી તેમને લાગે કે સંબંધિત કરદાતાએ વેરાની ચોરી કરી છે, તેની પાસે જાહેર ન કરેલી મિલકત છે અથવા રોકડ, સોનું કે પછી દાગીના છે કે અન્ય કોઈ મૂલ્યવાન વસ્તુઓ છે તો તે તમારા ખાતાની ચકાસણી કરી શકશે.
ઈન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની કલમ ૧૩૨ હેઠળ આવકવેરા અધિકારીને લાગે કે સંબંધિત કરદાતાએ કરચોરી કરવાના ઇરાદાથી તેની આવક છુપાવી છે, નાણાંકીય રેકોર્ડ સંતાડી રાખ્યા છે તો આવકવેરા અધિકારી તે કરદાતાને ત્યાં દરોડો પાડી શકે છે.
આવકવેરા ધારા ૧૯૬૧માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ, આવકવેરા અધિકારી કરદાતાએ જાહેર ન કરેલી આવકને પકડી પાડવા માટે તેમની ઓફિસમાં ઘૂસી જવાની, સેફ-લોકર્સની તપાસ કરવાની સત્તા ધરાવે છે. પરંતુ, પહેલી એપ્રિલ ૨૦૨૬ પછી આવકવેરા અધિકારી કરદાતાના ડિજિટલ એકાઉન્ટમાં પણ ડોકિયું કરી શકશે.
કરદાતાની કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી લઈ શકશે. તેમ જ તેના ઓનલાઈન એકાઉન્ટ્સની ચકાસણી કરી શકશે. આ ખાતાઓમાંથી કરચોરીની કોઈ વિગતો સાંપડી શકે તેમ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. આજકાલ નાણાંકીય વહેવારો ડિજિટલી કરવાનું વલણ અને ચલણ વધી રહ્યું છે. તેથી આવકવેરા અધિકારીઓ પણ મોડર્ન બની રહ્યા છે. તેના માટે ડિજિટલ ફોરેન્સિકનો આધાર લેવામાં આવશે.
કરદાતાએ એકવાર એન્ટર કરેલી વિગતો ડિલીટ પણ કરી દીધી હશે તો ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ તે શોધી શકશે. જોકે તેની સાથે કરદાતાની પ્રાઈવસીનો ભંગ થવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. પરિણામે કરદાતાએ તેનું આવકવેરાનું રિટર્ન કોઈપણ જાતની માહિતી છૂપાવ્યા વિના જ ભરવું પડશે.
તેમ જ તેણે કરેલા રોકાણની કોઈપણ વિગતો સંતાડવાનો પ્રયાસ કરવાનો કરવો નહીં. કરદાતાએ ભવિષ્યમાં કોઈ જ તકલીફ ન પડે તે માટે તેના વેરાના નિષ્ણાંતની સલાહ લઈને પછી જ આગળ કરદાતાએ કામ કરવું જોઈએ.SS1MS