ગંભીર ગુનાઓમાં આગોતરા જામીનના નિર્ણયમાં સાવચેતી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

અરજદારે હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો
અરજદારની નજર સામે તેના પિતાની હત્યા કરનારા ચાર આરોપીને જામીન આપતા પટણા હાઈકોર્ટના ચુકાદાને સર્વાેચ્ચ અદાલતે ફગાવ્યો
નવી દિલ્હી, ગંભીર ગુનાને લગતા કેસમાં આગોતરા જામીન આપવાની પ્રક્રિયાને યાંત્રિક નહીં બનાવવા સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી. હત્યાના એક કેસમાં પટણા હાઈકોર્ટે ચાર આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આરોપીઓના જામીન રદ કરી હાઈકોર્ટને ગંભીર કેસમાં આગોતરા જામીન અંગે ચુકાદો આપતી વખતે સાવચેતી રાખવા જણાવ્યુ હતું. સુપ્રીમ કોર્ટના ત્રણ જજીસની બેન્ચે હત્યા કેસના ચાર આરોપીના આગોતરા જામીન ફગાવી દેતા નોંધ્યુ હતું કે, પટણા હાઈકોર્ટે જામીન મંજૂર કરતી વખતે કોઈ કારણ જણાવ્યું નથી.
પહેલી મેના રોજ આઈપીસીની કલમ ૩૦૨ અને ૩૦૭ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓને જામીન અપાયા હતા. હાઈકોર્ટના ચુકાદાને અટપટો અને ન્યાયિક વિષ્લેષણ વગરનો ઠરાવીને સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, ગંભીર કેસમાં આગોતરા જામીનનો નિર્ણય અત્યંત યાંત્રિક રીતે લેવાયો છે અને તેને સાંખી શકાય નહીં, જેથી હાઈકોર્ટનો હુકમ રદ કરવામાં આવ્યો છે. એફઆઈઆર તથા અન્ય તથ્યોના વાચન માત્રથી કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની હાજરીમાં જ તેના પિતા પર હુમલો થયો હતો.
બંને પક્ષ વચ્ચે અવર-જવરનો રસ્તો રોકવા બાબતે વિવાદ હતો. ફરિયાદમાં હત્યા નિપજાવવા આરોપીઓએ ભજવેલી ભૂમિકા અંગે પણ ખુલાસો થયો છે. અરજદારના પિતાના શ્વાસ બંધ થયા પછી પણ હુમલાખોરો અટક્યા ન હતા. આ કેસની ગંભીરતા અને આક્ષેપોને સમજવામાં હાઈકોર્ટ સંદતર નિષ્ફળ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને આઠ અઠવાડિયામાં સરેન્ડર કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં પડોશીઓ વચ્ચે વિવાદમાં લોખંડના સળિયાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી અને તેણે જ હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો.ss1