કોંગ્રેસમાં હવે પાટીદાર નેતાને સુકાન પદ સોંપાય તેવી માંગ ઉઠી

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. માંડ માંડ થાળે પડવા જેવું લાગે ત્યાં એવું કંઈક થાય કે આખું માળખું વિખેરાઈ જાય. પેટાચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ફટકો છે. પરંતુ હવે સવાલ એ છે કે, કોંગ્રેસનો આ કાંટાળો તાજ કોણ પહેરશે. ત્યારે ફરી એકવાર નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. ત્યારે હવે પક્ષમાં નવા ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, હવે કોંગ્રેસની કમાન કોને સોંપાશે. ત્યારે હવે નવા નવા નામ સામે આવી રહ્યાં છે.
ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીનું નામ એકાદ સપ્તાહમાં જાહેર થઈ જાય તેવી શક્્યતા છે. ત્યારે કોણ કોણ પ્રમુખપદના પ્રબળ દાવેદાર છે, તેવી ચર્ચા વેગવંતી બની છે. આવામાં પાટીદાર નેતાને પાર્ટીની કમાન સોંપાય તેવી પ્રબળ શક્્યતાઓ છે.
લાંબા સમયથી પક્ષમાં પાટીદાર નેતાને પ્રમુખ બનાવાય તેવી માંગ ઉઠતી રહી છે. સાથે જ કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની સતત અવગણના થઈ રહી છે તેવી પણ કાનાફૂસી થઈ રહી છે. આવામાં હવે પાટીદાર નેતા જ પ્રમુખ પદે આવે તેવી શક્્યતાઓ વધી ગઈ છે.
પક્ષના પાટીદાર નેતાઓ પાર્ટીની કમાન પાટીદાર નેતાને સોંપાય તેવી માંગ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બે ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પાટીદાર નેતાઓની એક બેઠક મળવાની છે. જેમાં તમામ પાસાઓની ચર્ચા કરાશે. પાટીદાર નેતાઓ દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળીને આ મુદ્દે રજૂઆત પણ કરશે.
આમ, પાટીદારોએ પણ પ્રદેશ પ્રમુખપદને લઈને મોરચો ખોલ્યો છે. પાટીદાર નેતાઓએ ગાંધીનગરમાં પણ બેઠક કરી હતી, જેમાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓ મળ્યા હતા. જેમાં પણ એકસૂર હતો કે, પાટીદારને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ મળતું નથી. તેથી હવે પાટીદાર નેતાને તક આપવી જોઈએ.