Flowershow: યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ રજૂ કરાઈ
ભારત એક ગાથા’ થીમ મુખ્યમંત્રીએ ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રીના હસ્તે ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરાયું
(પ્રતિનિધિ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું.

વધુમાં, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત, યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદના ધારાસભ્યો અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કોર્પોરેટ એકમોના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરાયેલા વિશિષ્ટ શિલ્પનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ શિલ્પ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા, તેમની સહનશક્તિ અને સામૂહિક બળને ઉજાગર કરતું પ્રતીકાત્મક સર્જન છે.
‘ધ સમિટ ઑફ વિમેન્સ વોઈસીસ’ નામથી ઓળખાતું આ શિલ્પ ૧૫ ફૂટ ઊંચું સ્ટીલ પિરામિડ છે, જે મહિલાઓની સહનશક્તિ અને સામૂહિક શક્તિનું શક્તિશાળી પ્રતીક છે. આ શિલ્પમાં ચાર ખુલ્લા પ્રવેશદ્વારો દર્શાવવામાં આવ્યા છે, જે મહિલાઓનાં જીવનમાં લેતા વિવિધ વળાંકો અને અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે. જે તમામ એક જ શિખર પર એકરૂપ થાય છે, જે વૈવિધ્ય વચ્ચેની એકતાનું પ્રતિબિંબ રજૂ કરે છે.
આ પિરામિડની રચના લેઝરકટ સ્ટેનલેસ સ્ટીલમાંથી કરવામાં આવી છે, જેમાં વિવિધ ભાષાઓમાં ‘Mother’, ‘Leader’, ‘Creator’ અને ‘Survivor’ જેવા શબ્દોનો સમાવેશ કરાયો છે. જે મહિલાઓ દ્વારા આજીવન ભજવાતી વિવિધ ભૂમિકાઓને પ્રતિબિંબિત કરે છે.
આ શિલ્પના કેન્દ્રસ્થાને ૧૦૮ ‘હેંગિંગ કાર્ડ્સ’ મૂકવામાં આવ્યા છે, જેમાં દરેક કાર્ડ પર વિશ્વભરની મહિલાઓની કહાની, તસવીર અને ઉક્તિ સમાવાઈ છે. વિવિધ વ્યવસાયો, સંસ્કૃતિઓ અને સંઘર્ષોમાંથી પસાર થતી મહિલાઓની મુલાકાતો પરથી એકત્રિત થયેલી આ કથાઓ વર્તમાન સમયમાં મહિલાઓના જીવન ઘડતરની પ્રેરણાદાયી અને અજાણી વાસ્તવિકતાઓને ઉજાગર કરે છે.
આ કાર્ડ્સને મૌલીના દોરાથી લટકાવવામાં આવ્યા છે, જેના પરનું લખાણ માત્ર વાંચવા પૂરતું નહીં, પરંતુ વિચારી, અનુભવી અને સાક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરશે.
આ કાર્ડ્સમાં ડૉ. અમિના ડાયાલ્લો, બાળરોગ નિષ્ણાત (સેનેગલ) જેવી વ્યાવસાયિક મહિલાઓથી લઈને રેખાબેન વાઘેલા, ગૃહિણી અને માતા (ગુજરાત) સહિતનાં પ્રેરણાદાયી મહિલાઓના અનુભવો પણ સમાવાયા છે, જે સ્ત્રી જીવનના વિવિધ આયામોને સ્પર્શે છે.
