આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા
(પ્રતિનિધિ) આણંદ, મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારા ની ટ્રીપ શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સુગમતા રહે અને અમારી માંગણી નું નિરાકરણ થાય. આ વાત સાંભળીને નાયબ મુખ્યમંત્રી શ્રી એ આણંદ બસ સ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી.
જે અન્વયે આજે તા.૦૭/૦૧/૨૦૨૬, બુધવારના રોજ આણંદ તથા બોરસદ એસ. ટી. ડેપો સંચાલિત નવીન આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી નવીન રૂટની બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ સમયે વિભાગીય નિયામક શ્રી સી. ડી મહાજન, ડી. ટી. ઓ શ્રી નાયી, આણંદ ડેપો મેનેજર શ્રી કે. એમ. શ્રીમાળી, આણંદ એસ.ટી ડેપો નો સ્ટાફ, નડિયાદ વિભાગીય કચેરી સ્ટાફ સહીત એસ ટી વિભાગના કર્મચારીગણ સહિત મુસાફર, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
