ઈરાનમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી
નવી દિલ્હી, ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતા અને એરસ્પેસ બંધ થવાના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પર મોટી અસર પડી છે, જેને પગલે એર ઈન્ડિયાએ મુસાફરો માટે મહત્ત્વની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ઈરાન ઉપરથી પસાર થતી તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાની ફરજ પડી છે. એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વાેચ્ચ પ્રાથમિકતા છે, તેથી ઈરાની એરસ્પેસનો ઉપયોગ ટાળીને ફ્લાઈટ્સ હવે વૈકલ્પિક લાંબા રૂટ પરથી ચલાવવામાં આવી રહી છે.આ ફેરફારને કારણે ઉડાનના સમયમાં વધારો થયો છે અને કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી શકે છે, જ્યારે અમુક રૂટ્સ પર ફ્લાઈટ્સ રદ કરવાની જરૂરીયાત પણ પડી છે.
ફ્લાઈટ રડાર ૨૪ના ડેટા મુજબ, હાલમાં કોઈ પણ વિમાન ઈરાનના આકાશમાંથી પસાર થઈ રહ્યું નથી અને તમામ એરલાઈન્સ અન્ય સુરક્ષિત માર્ગાે અપનાવી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, આ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક એર ઓપરેશન્સ અને શેડ્યૂલ ખોરવાયા છે.
એર ઈન્ડિયાએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ જવા નીકળે તે પહેલાં એરલાઈનની વેબસાઈટ અથવા ઓફિશિયલ પ્લેટફોર્મ પર પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. એરલાઈન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિ સામાન્ય થતાં જ ફરી જૂના રૂટ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી મુસાફરોને સંયમ રાખવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.SS1MS
