અમદાવાદમાં એક જ વર્ષમાં સગીર વાહનચાલકોની સંખ્યા ૫૦૦ ગણી વધી
અમદાવાદ , ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરો દ્વારા રસ્તાઓ પર બેફામ સ્પીડે વાહન હંકારવાની ઘટનાઓ હવે જીવલેણ બની રહી છે. પોલીસની સતત ડ્રાઈવ અને કડક કાર્યવાહી છતાં વાલીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો તાજેતરમાં ટ્રાફિક વિભાગે કરેલી કામગીરીના આંકડા પરથી સામે આવ્યો છે. શહેર ટ્રાફિક વિભાગે વર્ષ ૨૦૨૪માં માત્ર ૧૧ સગીરોને વાહન ચલાવતા ઝડપી લીધા હતા.
જ્યારે વર્ષ ૨૦૨૫માં આ આંકડો વધીને ૫૮૩૫ પર પહોંચી જતા સગીરોમાં કાયદાનો ભય ઘટ્યો છે અથવા વાલીઓ જ સંતાનોને વાહન આપીને જોખમ વહોરી રહ્યા હોવાનું આ આંકડા પરથી પુરવાર થાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરભરમાં સમયાંતરે સગીર વાહનચાલકો સામે ડ્રાઇવ યોજે છે.
તેની સાથે સાથે સ્કૂલ-ટ્યુશન બહાર પોલીસ દ્વારા કડક ચેકિંગ કરહીને કાર્યવાહી કરવામાં આવે છે. એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્કૂલોમાં જઇને જાગૃતિ અભિયાન પણ કરવામાં આવે છે. આજની જનરેશન સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ હોવાથી પોલીસ વિવિધ પ્લેટફોર્મ પર પણ જાગૃતિ ફેલાવે છે.
આ પ્રકારની વિવિધ એક્ટિવિટીની સાથે સાથે સગીર વયના બાળકો લાઈસન્સ વગર ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર લઈને નીકળે ત્યારે તેમની સામે દંડની સાથે સાથે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસના મતે, સગીરો માત્ર પોતાનો જીવ જોખમમાં નથી મૂકતા, પરંતુ રસ્તે પસાર થતા રાહદારી કે અન્ય વાહનચાલકોને માટે પણ જોખમ ઊભું કરે છે.
એક આંકડાકીય માહિતી મુજબ, શહેરમાં વર્ષ ૨૦૨૪માં ૧૧ સગીરોને પોલીસે વાહન ચલાવવા બદલ ઝડપીને ૩૩ હજારનો દંડ ફટકાર્યાે હતો જ્યારે વર્ષ ૨૦૨૫માં આ આંકડો વધીને ૫૮૩૫ જેવો થયો છે. ટ્રાફિક પોલીસે ૫૮૩૫ સગીરોને ઝડપીને ૨૧.૧૧ લાખનો દંડ ફટકાર્યાે છે. આમ, એક જ વર્ષમાં વાહન ચલાવતા સગીરો ઝડપાયા હોવાનો આંકડામાં ૫૮૨૪નો વધારો થતાં પોલીસનું ઝીરો ટોલરન્સ તો દેખાઇ રહ્યું, છે પરંતુ વાલીઓમાં તદ્દન જાગૃતિનો અભાવ હોય તેવું સ્પષ્ટપણે સાબિત થાય છે.SS1MS
