Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. વ્યાજ માફી યોજના : જાન્યુઆરીમાં રૂ.128 કરોડથી વધુની  આવક થઈ

ઉત્તર પશ્ચિમ ઝોન માંથી સૌથી વધુ નેટ આવક રૂ.28.38 કરોડ આવી

(પ્રતિનિધિ)   અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત કર વસુલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષનાં પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે.

આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના તમામ સાત ઝોનમાંથી અંદાજીત કુલ રૂ.128.05 કરોડની નેટ આવક નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન દૈનિક કર વસુલાત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનું પ્રદર્શન સૌથી વધુ રહ્યું છે.

મ્યુનિસિપલ રેવન્યૂ કમિટીનાં ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઝોન પ્રમાણે આ આવકનાં આંકડાઓ મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. 28.38 કરોડની સર્વાધિક નેટ આવક નોંધાઈ છે. તેમજ પછી પશ્ચિમ ઝોનમાંથી રૂ.22.36 કરોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ. 17.77 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. મધ્ય ઝોનમાંથી રૂ.18.49 કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.16.37 કરોડ, દક્ષિણ ઝોનમાંથી રૂ.13.47 કરોડ અને ઉત્તર ઝોનમાંથી રૂ.11.20 કરોડની નેટ આવક નોંધાઈ છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ તરફથી આ યોજનાને અભૂતપૂર્વ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમજ ઇન્સેન્ટિવ રિબેટ યોજનાના કુલ આંકડાઓ મુજબ, આ સમયગાળા દરમિયાન શહેરમાં કુલ અંદાજીત 99,904 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. કુલ ગ્રોસ વસુલાત રૂ.143.19 કરોડ રહી છે, જેમાંથી રૂ.15.14 કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે અને અંદાજીત નેટ આવક રૂ.128.05 કરોડની AMCને પ્રાપ્ત થઈ છે. આથી વ્યાજ માફી આપીને પણ કર વસુલાતમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્પષ્ટ થયું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરી થી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા હતું. હવે ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે.

દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે. તે જ રીતે, નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 65 ટકા હતું, હવે ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને પણ 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમિયાન મિલકત વેરાના વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે.

વર્ષ 2025–26ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેન્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની સાથે બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.

આ ઉપરાંત, ટેક્સ રિકવરીનાં ડેટા મુજબ 31 જાન્યુઆરી 2026 સુધી પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને વેહિકલ ટેક્સમાંથી પ્રાપ્ત થયેલી આવકની ઝોન પ્રમાણે તેમજ વર્ષની તુલનાત્મક વિગતો મુજબ મિલકત કરમાં 2024-25 દરમ્યાન રૂ.1745.61 કરોડની વસુલાત સામે 2025-26માં 1 એપ્રિલ 2025થી અત્યાર સુધી રૂ.1493.62 કરોડ વસુલાત નોંધાઈ છે.

આ ઉપરાંત પ્રોફેશન ટેક્સમાં 2025-26માં અત્યાર સુધી અંદાજે રૂ.217.15 કરોડ અને વાહન કરમાં અંદાજે રૂ. 197.93 કરોડ જેટલી વસુલાત નોંધાઈ છે. ગયા વર્ષની સરખામણીમાં 1 એપ્રિલ 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં આ ટેક્સ 1339.88 કરોડ નોંધાયો હતો, જે આ વર્ષે 1 એપ્રિલ 2025થી 30 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ રૂ.1493.62 કરોડ જેટલો નોંધાયો છે. આ સરખામણી મુજબ આ વર્ષે રૂ.153.74 કરોડનો વધારો આ વર્ષે નોંધાયો છે એટલે કે અંદાજીત 11.5 ટકા ગયા વર્ષ કરતાં આ વર્ષે આવક વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.